આજે તા. 23 મે-2025 એટલે કે, વિશ્વ કાચબા દિવસ
દરિયાઈ કાચબાઓનું સંરક્ષણ કરતો દ્વારકાનો દરિયો
દ્વારકાનો દરિયો લીલા-ઓલિવ રીડલી કાચબાનું પિયર
દરિયા કિનારાની કાચબાના રક્ષણ માટે મહત્વપૂર્ણ ભૂમિકા
કાચબાના સંરક્ષણમાં લોકોને યોગદાન આપવા અપીલ
આજે 23 મે, વિશ્વ કાચબા દિવસ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો દરિયા કિનારો દરિયાઈ કાચબાઓના સંરક્ષણ અને ઉછેરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. આ દરિયા કિનારો લીલા કાચબા અને ઓલિવ રીડલી કાચબા માટે "પિયર" સમાન બન્યો છે, જ્યાં તેઓ ઈંડા મુકવા અને પ્રજનન માટે આવે છે.
કાચબા સંરક્ષણનું હબ જિલ્લામાં આવેલા ઓખામઢી (જૂની) અને નાવદ્રા ખાતેના કાચબા ઉછેર કેન્દ્રો (હેચરી) દરિયાઈ કાચબાના બચ્ચાઓના ઉછેર માટે કાર્યરત છે. વર્ષ 2012થી 2025 સુધીમાં, ઓખામઢી કાચબા ઉછેર કેન્દ્ર ખાતે અંદાજિત 80 હજાર જેટલા કાચબા ઉછેરીને ફરી સમુદ્રમાં છોડવામાં આવ્યા છે. વન વિભાગનો સ્ટાફ, જેમાં વન રક્ષકથી લઈને RFO સુધીના અધિકારીઓનો સમાવેશ થાય છે.
આ હેચરીના સંચાલન અને દેખરેખ માટે સતત કાર્યરત છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિલેશ બેલાના જણાવ્યા અનુસાર, ઓખા ખાતે 2012-13માં હેચરી શરૂ કરવામાં આવી હતી. અહીં દરિયા કિનારેથી ઈંડા શોધીને હેચિંગ સેન્ટરમાં રાખવામાં આવે છે. લીલા કાચબા અહીં મોટી સંખ્યામાં ઈંડા મુકવા આવે છે. કારણ કે, અહીંનું વાતાવરણ, રેતીનો પ્રકાર અને તાપમાન તેમને અનુકૂળ આવે છે.
આ ઉપરાંત, તેમનો મુખ્ય ખોરાક, એટલે કે શેવાળ અને દરિયાઈ ઘાસ પણ અહીં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. માદા કાચબા સપ્ટેમ્બરથી એપ્રિલ સુધીમાં દરિયા કિનારે રેતીમાં 80થી 160 ઈંડા મુકે છે, અને તેને ફરીથી રેતીથી ઢાંકી દે છે. વન વિભાગના કર્મચારીઓ દરરોજ સવારે ઓખાથી હર્ષદ સુધીના દરિયાઈ વિસ્તારોમાં રેતીમાંથી સુરક્ષિત રીતે ઈંડા એકત્રિત કરે છે, અને તેને ઓખામઢી અને નાવદ્રા ખાતેની હેચરીમાં લાવે છે. અહીં કૃત્રિમ માળામાં આ ઈંડાને 45થી 60 દિવસ સુધી રાખવામાં આવે છે, જ્યાં રેતીમાં રહેલા ભેજને કારણે તેનું હેચિંગ થાય છે.
ભારતના દરિયામાં કુલ 5 પ્રજાતિઓ જોવા મળે છે, જ્યારે ગુજરાતના દરિયામાં 4પ્રજાતિઓ જોવા મળે છે. દ્વારકા જિલ્લાના દરિયાકિનારે મુખ્યત્વે લીલા કાચબા અને ઓલિવ રીડલી કાચબા એમ 2 પ્રજાતિ જોવા મળે છે, ત્યારે દરિયાઈ કાચબાનું સંરક્ષણ આપણા બધાની જવાબદારી છે. આપણે સમુદ્રતટ પર કચરો ફેંકવાનું ટાળવું જોઈએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જોઈએ અને દરિયાઈ કાચબાને નુકસાન કરતી કોઈપણ પ્રવૃત્તિઓ આપણા ધ્યાન પર આવે તો રેન્જ ફોરેસ્ટ ઓફિસર, મરીન નેશનલ પાર્ક-દ્વારકા અથવા મુખ્ય વન સંરક્ષક, મરીન નેશનલ પાર્ક-જામનગરનો સંપર્ક કરવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા અપીલ કરવામાં આવી છે.