સાબરકાંઠા જીલ્લામાં કોરોનાના વધતાં સંક્રમણના કારણે મૃત્યુઆંકમાં વધારો વર્ષોથી બંધ સ્મશાનને પુનઃ શરૂ કરવામાં આવ્યું છે. હિંમતનગરમાં આ ત્રીજું સ્મશાન તૈયાર કરાતા લોકોને અંતિમ સંસ્કાર માટે હવે લાઈનમાં ઊભા રહેવું નહીં પડે.
સાબરકાંઠા જીલ્લામાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. ગતરોજ કોરોનાના 76 કેસ સામે આવ્યા હતા. તો કોરોનાને લઈને મોતનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે હિંમતનગર શહેર ખાતે હવે ત્રીજું સ્મશાન તૈયાર કરવામાં આવ્યુ છે. આમ તો મુખ્ય સ્મશાનમાં ત્રણ સગડી, એક ગેસ સગડી અને એક ઈલેક્ટ્રીક સ્મશાન હોવા છતા પહોચી વળાતું નથી. ઉપરાંત મૃતકના પરિવારજનોને પણ અંતિમ સંસ્કાર માટે 5થી 8 કલાકનું વેટીંગ કરવું પડતું હતું. જેથી સ્મશાનમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાબી કતારો ન લાગે તે માટે વધુ સગડી તૈયાર કરવામાં આવી છે. જોકે હવે ત્રીજું સ્મશાન તૈયાર કરાતા લોકોને અંતિમ સંસ્કાર માટે હવે લાઈનમાં ઊભા રહેવું પડશે નહીં.