ચંદ્રયાન-3નું કાલે બપોરે 2:35 વાગે લોન્ચિંગ, ISROના વૈજ્ઞાનિકે ચંદ્રયાન-3નું મિની મોડલ સાથે લઈને તિરુપતિ મંદિરમાં પૂજા કરી
દેશના મહત્ત્વાકાંક્ષી ચંદ્રયાન-3નું કાઉન્ટ ડાઉન ગુરુવારે બપોરથી શરૂ થશે.
દેશના મહત્ત્વાકાંક્ષી ચંદ્રયાન-3નું કાઉન્ટ ડાઉન ગુરુવારે બપોરથી શરૂ થશે. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી શુક્રવારે બપોરે 2:35 કલાકે લોન્ચિંગ થશે.
આ પહેલાં ઈસરોના વૈજ્ઞાનિકો ભગવાનના આશીર્વાદ લેવા તિરુપતિ વેંકટચલપતિ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. વૈજ્ઞાનિક પોતાની સાથે ચંદ્રયાન-3નું મિની મોડલ પણ લઈ ગયા હતા. ચંદ્રયાન 24-25 ઓગસ્ટે ચંદ્ર પર ઊતરશે.
આગામી 14 દિવસ સુધી, રોવર લેન્ડરની આસપાસ 360 ડિગ્રીમાં ફરશે અને અનેક પરીક્ષણો કરશે. ચંદ્રની સપાટી પર રોવર ચાલશે, તેનાં પૈડાનાં નિશાનની તસવીરો પણ લેન્ડર મોકલશે. ભારત ચંદ્ર પર રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ચોથો દેશ બનશે, ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક પહોંચનાર પ્રથમ દેશ પણ બનશે.
આ એ જ વિસ્તાર છે જ્યાં ચંદ્રયાન-1 દરમિયાન મૂન ઈમ્પેક્ટ પ્રોબ છોડવામાં આવ્યું હતું અને ઈસરોએ પાણી હોવાનું શોધી કાઢ્યું હતું. ચંદ્રયાન-2નું ક્રેશ લેન્ડિંગ અહીં થયું હતું.