આંદામાન સમુદ્રમાંથી ઉદભવેલું ચક્રવાતી તોફાન 'દાના' ઝડપથી બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાતનો બહારનો ભાગ ઓડિશાના દરિયાકાંઠે પહોંચી ગયો છે, જેના કારણે ભદ્રક જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, આ વાવાઝોડાની સૌથી વધુ અસર ઓડિશા પર પડશે.એની અસર લગભગ અડધા રાજ્યમાં જોવા મળશે. વાવાઝોડું હાલમાં 500 કિમી દૂર છે, પરંતુ એ 13 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.
IMDએ આગાહી કરી છે કે 24 ઓક્ટોબરની સવાર સુધીમાં બંગાળની ખાડીમાં દાના એક ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે.એ ઓડિશાના પુરી જિલ્લા અને પશ્ચિમ બંગાળના સાગર ટાપુ (સાઉથ 24 પરગણા જિલ્લામાં) વચ્ચે 24 ઓક્ટોબરની રાતથી 25 ઓક્ટોબરની સવાર સુધી ગમે ત્યારે અથડાઈ શકે છે. આ સમયગાળા દરમિયાન પવનની ઝડપ 120 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.પુરીમાં 3,000થી વધુ પ્રવાસીઓને ઘરે મોકલવામાં આવ્યા છે. ચાર દિવસથી હોટલ બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. વાવાઝોડાની ગંભીર અસરની સંભાવના હોય એવા 14 જિલ્લાઓની તમામ શાળા-કોલેજો 25મી સુધી બંધ કરી દેવામાં આવી છે. એ જ સમયે સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. ઓડિશામાં લગભગ 10 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.