દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે પણ ED સમક્ષ હાજર નહીં થાય.EDએ તેમને ત્રીજી વખત સમન્સ પાઠવ્યું હતું, જેમાં તેમને આજે એટલે કે 3 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.આમ આદમી પાર્ટીએ કહ્યું- લોકસભા ચૂંટણી પહેલાં નોટિસ કેમ આપવામાં આવી? આમ આદમી પાર્ટીના ત્રણ નેતા સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા અને સંજય સિંહ દારૂ નીતિ કેસમાં જેલમાં છે.
આ પહેલાં EDએ કેજરીવાલને 2 નવેમ્બર અને 21 ડિસેમ્બરે હાજર થવા માટે બે સમન્સ મોકલ્યા હતા. પરંતુ, કેજરીવાલે બંને સમન્સને ગેરકાયદેસર અને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને ED સમક્ષ હાજર થવાનો ઇનકાર કર્યો હતો. 21 ડિસેમ્બરે સમન્સ મળ્યા બાદ કેજરીવાલ 10 દિવસ માટે વિપશ્યના માટે ગયા હતા.આ સમન્સને લઈને આમ આદમી પાર્ટીએ મંગળવારે કહ્યું કે, પાર્ટી આ મામલે કાયદા મુજબ કાર્યવાહી કરશે.AAPના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કરે કહ્યું કે અમારી કાનૂની ટીમ વધુ સારી રીતે જવાબ આપી શકશે કે અરવિંદ કેજરીવાલ આ કેસમાં ED સમક્ષ હાજર થશે કે નહીં. પક્ષ કાયદા પ્રમાણે ચાલશે.