/connect-gujarat/media/media_files/2025/01/27/DmKX1n6TboDQ3QVN3ODz.jpeg)
સંસદની જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી (જેપીસી)એ વક્ફ બિલમાં સુધારા કરવા મંજૂરી આપી દીધી છે. જેમાં ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા 14 સુધારાઓને મંજૂરી મળી છે. બીજી તરફ વિપક્ષ દ્વારા આપવામાં આવેલી તમામ ભલામણોને ફગાવી દેવામાં આવી છે. કુલ 67 પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ભાજપ સાંસદો તરફથી 23 ફેરફારો અને વિપક્ષ તરફથી 44 ભલામણો રજૂ કરવામાં આવી હતી.
વકફ બિલ સુધારા પર આજે સોમવારે સવારે 11 વાગ્યે યોજાયેલી જેપીસી બેઠકમાં પ્રત્યેક કલમો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં એનડીએના તમામ 14 ફેરફારોના પ્રસ્તાવનો સ્વીકાર કરતાં જેપીસી અધ્યક્ષ જગદંબિકા પાલે જણાવ્યું હતું કે, 'સમિતિ તરફથી કરવામાં આવેલા સંશોધન કાયદાને વધુ સારો અને અસરકારક બનાવશે. જ્યારે વિપક્ષેે આ બિલની ટીકા કરતા તેનાથી લોકતંત્રની પ્રક્રિયા બરબાદ થવાનો આરોપ મૂક્યો હતો.
છેલ્લા છ મહિનાથી 44 સુધારાઓ પર ચર્ચા થઈ રહી હતી. તમામ સભ્યો પાસેથી સુધારાઓ મગાવવામાં આવ્યા હતા. આજની અંતિમ બેઠકમાં બહુમતીના ધોરણે 14 સુધારાઓ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે વિપક્ષ દ્વારા સૂચવવામાં આવેલા સુધારાઓમાંથી 10 મત સમર્થનમાં અને 16 મત વિરોધમાં મળતાં તેને ફગાવી દેવામાં આવ્યા છે.