/connect-gujarat/media/media_files/2026/02/23/up-major-accident-2026-02-23-20-29-22.jpg)
પંજાબના લુધિયાણાથી બિહારના દરભંગા જઈ રહેલી ડબલ ડેકર બસને પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર અકસ્માત નડ્યો હતો. જેમાં બસ પલટી મારી જતાં 5 લોકોના મોત થયા હતા, જ્યારે 16 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ગોસાઈગંજના ખેમા ખેડા ગામ નજીક કાબુ ગુમાવનાર બસ વધુ ઝડપને કારણે પલટી ગઈ હોવાનું માનવામાં આવે છે. આ અકસ્માતને કારણે ઘટનાસ્થળે ગભરાટ ફેલાયો હતો. લોકોએ જણાવ્યુ હતું કે, ડ્રાઇવર ઊંઘી ગયો હતો, અને અકસ્માત સર્જાયો હતો. પસાર થતા લોકોએ પોલીસને જાણ કરી. ગોસાઈગંજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને એમ્બ્યુલન્સની મદદથી સ્થાનિક સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતા.
જોકે, ઘટનાસ્થળે પહોંચેલા ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) સાઉથ, નિપુણ અગ્રવાલે જણાવ્યું હતું કે, અકસ્માતમાં કુલ 5 લોકોના મોત થયા છે. મૃતકોમાં એક મહિલા, એક પુરુષ અને 3 બાળકોનો સમાવેશ થાય છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં મૃતકો અને ઘાયલો વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. ઘટનાની માહિતી મળતાં, જિલ્લા મેજિસ્ટ્રેટ વિશાખ જી અને પોલીસ કમિશનર અમરેન્દ્ર સેંગર ગોસાઈગંજ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર પહોંચ્યા હતા.