/connect-gujarat/media/media_files/2025/07/13/215454-2025-07-13-11-26-50.png)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાજ્યસભા માટે ચાર નવા સભ્યોની નિમણૂક કરી છે. તેમાં જાણીતા વકીલ ઉજ્જવલ નિકમ, પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા, ઇતિહાસકાર ડો.મીનાક્ષી જૈન અને કેરળના સામાજિક કાર્યકર સી.સદાનંદન માસ્ટરનો સમાવેશ થાય છે.
ઉજ્જવલ નિકમ 26/11 મુંબઈ હુમલા કેસ સહિત ઘણા હાઇ-પ્રોફાઇલ ક્રિમિનલ કેસોમાં સરકારી વકીલ રહી ચૂક્યા છે. જેમાં તેમણે કસાબને સજા કરાવી હતી. જ્યારે હર્ષવર્ધન શ્રૃંગલા ભારતના વિદેશ સચિવ રહી ચૂક્યા છે અને વિદેશ નીતિના ક્ષેત્રમાં લાંબો અનુભવ ધરાવે છે.
મીનાક્ષી જૈન ઇતિહાસના જાણીતા પ્રોફેસર છે, જ્યારે સદાનંદન માસ્ટર લાંબા સમયથી શિક્ષણ અને સમાજ સેવા સાથે સંકળાયેલા છે. તેઓ પોતે કેરળમાં રાજકીય હિંસાનો ભોગ બન્યા હતા. આ દરેક નામ પોતપોતાના ક્ષેત્રમાં એક ખાસ ઓળખ ધરાવે છે.
આ ચારેય સભ્યને બંધારણના અનુચ્છેદ 80 હેઠળ નામાંકિત કરવામાં આવ્યા છે, જે હેઠળ રાષ્ટ્રપતિ તેમના કાર્ય અને અનુભવના આધારે કેટલાક ખાસ લોકોને રાજ્યસભામાં મોકલી શકે છે. આ નોમિનેશન રાજ્યસભાની ખાલી બેઠકો ભરવા માટે કરવામાં આવ્યું છે.