/connect-gujarat/media/media_files/2024/11/01/diIrhybTx5Psd4MmJcpE.png)
દેશના જાણીતા અર્થશાસ્ત્રી અને વડાપ્રધાનના આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન રહી ચૂકેલા બિબેક દેબરોયનું 69 વર્ષની વયે નિધન થયું છે.
એઈમ્સ, દિલ્હીના તબીબોના મતે તેઓ આંતરડાના ઈન્ફેક્શનનો ભોગ બન્યા હતા. પહેલી નવેમ્બરે સવારે સાત વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.ભારતીય અર્થતંત્ર માટે મહત્ત્વનું યોગદાન આપનારા દેબરોયે દેશની આર્થિક નીતિઓને આકાર આપવામાં અત્યંત મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે તમામ ભારતીય પુરાણોનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ પર દેબરોયનના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ કરતા લખ્યું હતું કે, ડો. દેબરોયને હું ઘણા વર્ષોથી ઓળખું છું. તેમનું જ્ઞાન અને એકેડેમિક ચર્ચા પ્રત્યેનો જુસ્સો હું હંમેશા યાદ રાખીશ. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.
મેઘાલયના શિલોંગમાં 25 જાન્યુઆરી, 1955ના રોજ જન્મેલા બિબેક દેબરોય નરેન્દ્રપુરની રામકૃષ્ણ મિશન સ્કૂલમાં શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પ્રેસિડેન્સી કોલેજ અને બાદમાં દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ અને કેમ્બ્રિજની ટ્રિનિટી કોલેજમાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓ પુણેની ગોખલે ઈન્સ્ટિટ્યૂટ ઓફ પોલીટીક્સ એન્ડ ઈકોનોમિક્સના ચાન્સેલર પણ રહી ચૂક્યા છે.તેઓ કાયદાકીય સુધારણા માટે કાર્યરત UNDP પ્રોજેક્ટસના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. અનેક પુસ્તકો અને લેખોના લેખક અને સંપાદક પણ હતા.તેમણે મહાભારત, રામાયણ, અને ભગવદ ગીતા જેવા ગ્રંથોનું સંસ્કૃતમાંથી અંગ્રેજીમાં અનુવાદ પણ કર્યો હતો.