મહારાષ્ટ્રના નાસિક પાસે જયનગર એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માત બપોરે 3.15 વાગ્યાની આસપાસ થયો હતો. ડાઉન લાઇન પર નાસિક નજીક લાહવિત અને દેવલાલી વચ્ચે ટ્રેન નંબર 11061 LTT-જયનગર એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતની માહિતી મળતાં જ એક્સિડન્ટ રિલિફ ટ્રેન અને મેડિકલ વાન ઘટનાસ્થળે રવાના થઈ હતી.
આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ નાસિક પાસે ટ્રેનના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. તેની માહિતી રેલવેને તાત્કાલિક અસરથી આપવામાં આવી હતી. અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અકસ્માતને પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં કેટલા લોકો ઘાયલ થયા છે તેનો આંકડો હજુ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી, આ ઉપરાંત કોઈના મોતના પણ સમાચાર નથી.
