મહીસાગર : લુણાવાડાના દરકોલી-પટ્ટણ જતાં મુખ્ય માર્ગ પર ગંદા પાણીની ગટરો ઉભરાઇ, લોકોને પડી ભારે હાલાકી

New Update
મહીસાગર : લુણાવાડાના દરકોલી-પટ્ટણ જતાં મુખ્ય માર્ગ પર ગંદા પાણીની ગટરો ઉભરાઇ, લોકોને પડી ભારે હાલાકી

મહીસાગર જિલ્લાના લુણાવાડાના દરકોલીથી પટ્ટણ જવાના મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ગંદા પાણીની ગટરો ઉભરાઇ રહી છે. જેના કારણે માર્ગ પર ગટરનું ગંદુ પાણી ફરી વળતાં સ્થાનિક રાહદારીઓ સહિત અનેક વાહનવ્હાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.

ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલી ગંદા પાણીના નિકાલ માટેની ભૂગર્ભ ગટર યોજના ફારસરૂપ સાબિત થવા પામી છે. જ્યાં જુઓ ત્યાં ભૂગર્ભ ગટર બનાવ્યા બાદ નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટેની સમસ્યાઓ દિન-પ્રતિદિન વધી જવા પામી છે. આ પાણીના નિકાલ માટે કોઈ કાર્ય પરિપૂર્ણ ન થતાં સ્થાનિક રહીશો સહિત રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવી રહ્યો છે, ત્યારે આવો જ એક કિસ્સો મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં આવેલા દરકોલીથી પટ્ટણ જવાના માર્ગ ઉપર જોવા મળ્યો છે.

ગરીબી રેખા હેઠળ જીવતા લોકો અહીના વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે. સમગ્ર લુણાવાડા નગરનું ગંદુ પાણી પટ્ટણ રોડ ઉપર કોઈપણ જાતના નિકાલ કર્યા વગર અથવા ગટર વ્યવસ્થાની પાકી વ્યવસ્થાના અભાવે જાહેર માર્ગ ઉપરથી વહી રહ્યું છે. જેના કારણે મચ્છરનો ઉપદ્રવ અને બીમારીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. તો સાથે જ મુખ્ય માર્ગ પર આ ગંદુ પાણી ભરાવાને કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

આ બાબતે સ્થાનિકો દ્વારા નગરપાલિકાના પ્રમુખ સહિત ધારાસભ્યને અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી છે. તેમ છતાં આ સમસ્યાનું આજદિન સુધી નિરાકરણ આવ્યું નથી, ત્યારે નબળા વહીવટી તંત્ર પ્રત્યે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

Latest Stories