નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 123 મીટર નોંધાયેલ છે. આ લેવલે જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ 5,463 મીલીયન ક્યુબીક મીટર નોંધાયેલ છે. હાલમાં દરરોજ રિવર બેડ પાવર હાઉસમાં વિજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે, જેને લીધે જળ સપાટીમાં આશરે 20 થી 25 સે.મી. નો ઘટાડો નોંધાઇ રહ્યો છે.
સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસમાં છેલ્લા એકાદ અઠવાડીયાથી વિજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વિજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 125 મીટરે હતી. હાલમાં છેલ્લા એક સપ્તાહથી રિવરબેડ હાઉસના 200 મેગાવોટની ક્ષમતાવાળા 6 યુનિટ દરરોજ સરેરાશ 78 કલાક કાર્યરત કરી ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે, જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ 2.8 કરોડની કિંમતની 1.40 કરોડ યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. આ વિજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ 42 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેને લીધે નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે.
તેવી જ રીતે 50 મેગાવોટની ક્ષમતાવાળા કેનાલ હેડ પાવર હાઉસના હાલ 3 જેટલા યુનિટ વિજ ઉત્પાદન માટે કાર્યરત છે અને દરરોજ સરેરાશ 50 લાખની કિંમતનુ 25 લાખ યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે અને દૈનિક સરેરાશ 15,500 ક્યુસેક પાણી વિજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફત ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે, જે સિંચાઇ અને પીવાના પણીના ઉપયોગમાં લેવાઇ રહ્યું છે.નર્મદા બંધ પૂર્ણ થયાને આ સતત પાંચમું વર્ષ છે.