Connect Gujarat
Featured

નર્મદા : અસ્થાયી ધોરણે બંધ થયેલી “સી” પ્લેન સેવા પુનઃ શરૂ, મેઇન્ટેનસન્સ માટે મોકલાયું હતું માલદીવ

નર્મદા : અસ્થાયી ધોરણે બંધ થયેલી “સી” પ્લેન સેવા પુનઃ શરૂ, મેઇન્ટેનસન્સ માટે મોકલાયું હતું માલદીવ
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમી “સી” પ્લેન સેવાનો ગત તા. 31મી ઓક્ટોબરના રોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો, ત્યારે 1 મહિનાની સફર બાદ “સી” પ્લેનને મેઇન્ટેનસન્સ માટે માલદીવ મોકલવામાં આવ્યું હતું. જોકે અસ્થાયી ધોરણે બંધ થયેલી “સી” પ્લેન સેવાને પુનઃ શરૂ કરવામાં આવી છે.

ગત તા. 31મી ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દેશની પ્રથમ પેસેન્જર “સી” પ્લેન સેવાની શરૂઆત કરાવવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાથી અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટ પહોંચ્યા હતા. 50 વર્ષ જૂનું રજિસ્ટ્રેશન નંબર 8Q-ISC ધરાવતું આ “સી” પ્લેન હતું. જોકે મહિનો ચલાયા બાદ ગત તા. 28મી નવેમ્બરે આ “સી” પ્લેનને મેઇન્ટેનસન્સ માટે માલદીવ મોકલવામાં આવ્યું હતું. અસ્થાયી ધોરણે “સી” પ્લેન સેવા બંધ કરવામાં આવી હતી. જોકે “સી” પ્લેનની સેવા તા. 30મી ડિસેમ્બરના રોજથી પુનઃ શરૂ કરવામાં આવી છે. જેમાં “સી” પ્લેન અમદાવાદથી કેવડિયા આવી પહોંચ્યું હતું, ત્યારે એસ.એસ.એન.એલ.ના એમ.ડી. રાજીવ ગુપ્તા સહિત અન્ય 8 પ્રવાસીઓએ આ “સી” પ્લેન દ્વારા કેવડિયા આવી પહોંચ્યા હતા. રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, હવે “સી” પ્લેનની સેવા અવિરત ચાલુ રહેશે અને મેઇન્ટેનસન્સની તમામ વ્યવસ્થા સાબરમતી ખાતે કરવામાં આવશે. ઉપરાંત કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયની ટીમ દ્વારા પણ રિવરફ્રન્ટ ખાતે “સી” પ્લેનના મેઇન્ટેનસન્સ માટેનું નિરીક્ષણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Next Story