ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માના પરપ્રાંતિયો અંગેના નિવેદનને લઈ રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.તેઓના નિવેદનને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટિલે ગુજરાતીઓનું અપમાન ગણાવ્યું છે.

ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકવાના પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કાર્યકર્તાઓ સાથેની એક બેઠકમાં પરપ્રાંતીયોને લઈ આપેલા એક નિવેદનને લઈ રાજનીતિ ગરમાઈ છે. પરપ્રાંતીયો ગુજરાતમાં ભય અનુભવી રહ્યા હોવા અંગેનું રઘુ શર્માએ નિવેદન આપ્યું હતું. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ નિવેદન આપતાં કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપના રાજમાં બહારથી આવતા લોકો ભય અનુભવી રહ્યા છે. ગુજરાતમાં ભયમુક્ત વાતાવરણ હોવું જોઈએ. ગુજરાતની આર્થિક સ્થિતિમાં બહારના લોકોનો મોટો હાથ છે. ત્યારે રાજસ્થાન અને અન્ય પ્રદેશના લોકોને અહીં કેમ ભય અનુભવાય છે?

રઘુ શર્માના નિવેદન અંગે વળતો પ્રહાર કરતાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે શર્માના નિવેદનને ગુજરાતીઓના અપમાન સમાન ગણાવ્યું હતું અને રઘુ શર્મા માફી માગે એવી માગ કરી હતી. પાટીલે કહ્યું હતું કે કોરોનાકાળ દરમિયાન દેશમાં સૌથી વધુ પરપ્રાંતીયોને ગુજરાતીઓએ સાચવ્યા હતા. ગુજરાતમાં કોઈપણ જાતના ડર વગર પરપ્રાંતીયો રોજગાર મેળવી રહ્યા છે. રઘુ શર્મા રાજસ્થાનથી ધારાસભ્ય અને મંત્રી હોઈ પાટીલે તેમને સવાલ કરતાં કહ્યું હતું કે રાજસ્થાનમાંથી ઉદ્યોગકારો કેમ અન્ય રાજ્યમાં જઈ રહ્યા છે એ અંગેનો શર્માએ જવાબ આપવો જોઈએ.