નવસારીની એક ઘટના તમને બતાવવા જઇ રહયાં છીએ જયાં આશિયાનો છીનવાય છતાં મહિલાઓ તેમના આંસુ રોકી શકી ન હતી અને પોલીસ તથા અધિકારીઓને આજીજી કરવા લાગી હતી કે, થોડી તો રહેમ કરો... થોડી તો રહેમ કરો.....
નવસારીના બંદર રોડ પર ગાયત્રી મંદિર પાસે પશ્ચિમ રેલવેની માલિકીની જગ્યા આવેલી છે. આ જગ્યા ઉપર કેટલાક ગરીબ પરિવારો મકાનો બાંધી વસવાટ કરતાં હતાં. સરકારી જગ્યામાં આવાસો બાંધવામાં આવ્યાં હોવાના કારણે પશ્ચિમ રેલવે તરફથી આવાસધારકોને નોટીસ આપવામાં આવી હતી. નોટીસમાં તેમના મકાનો ગેરકાયદે હોવાથી તેને ખાલી કરી દેવા સુચના આપવામાં આવી છે. નોટીસમાં આપવામાં આવેલી સમયમર્યાદા પુર્ણ થતાં આજરોજ રેલવે વિભાગની ટીમ જેસીબી મશીન સાથે ડીમોલેશન માટે પહોંચી હતી. 50 જેટલા મકાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવતાં સ્થાનિક રહીશો ભેગા થઇ ગયાં હતાં અને તેમના આશિયાના બચાવવા દોડધામ કરી મુકી હતી. એક મહિલા તો રીતસરની આજીજી કરી રડવા લાગી હતી. એક તરફ પોલીસ કર્મચારીઓ માટે ફરજ હતી તો બીજી તરફ મહિલાનું દર્દ હતું પણ આખરે ફરજ સામે મહિલાનું દર્દ હારી ગયું હતું અને સરકારી જગ્યામાં કરાયેલાં બાંધકામો દુર કરાયાં હતાં. ગરીબ લોકો આવાસો ખાલી કરવા તૈયાર હતાં પણ તેમની પાસે વૈકલ્પિક જગ્યાનો અભાવ હતો. સ્થાનિક આગેવાનોએ મધ્યસ્થી કરતાં આવાસ ધારકોને મકાનોમાંથી ઘર વખરી અન્ય સ્થળે ખસેડવા માટેનો સમય આપવામાં આવ્યો હતો.
નવસારી : ગાયત્રી મંદિર નજીકના આવાસો તોડવા પહોંચી ટીમ, મહિલાઓએ કહ્યું થોડી રહેમ તો કરો...
New Update