/connect-gujarat/media/post_banners/e4eab225e38900201da22bf8e7e83dc83f2c3121ea62966681af768ca758f76d.webp)
કેપ્ટન રોહિત શર્માની ભારતીય ટીમ રવિવારે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં તેના ODI વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. તેને પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના પડકારનો સામનો કરવો પડશે. ભારતની બેટિંગ વર્લ્ડ ક્લાસ છે તો ઓસ્ટ્રેલિયાનું ઝડપી આક્રમણ પણ ઓછું નથી. ચેન્નાઈની આકરી ગરમી તેમના માટે મોટો પડકાર સાબિત થશે. મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ તેના અડધા કલાક પહેલા એટલે કે બપોરે 1.30 વાગ્યે થશે.
વર્લ્ડ કપની શરૂઆત પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 2-1થી જીત મેળવી હતી. જો કે, પ્રથમ બે મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બંને માટે કેટલાક મોટા ખેલાડીઓ ગેરહાજર હતા. આ બંને વન-ડે ભારતે જીતી હતી. રોહિત શર્મા, વિરાટ કોહલી અને કુલદીપ યાદવ સહિતના મહત્વના ખેલાડીઓ ત્રીજી વનડેમાં પરત ફર્યા છે. ઓસ્ટ્રેલિયન ટીમ પણ પોતાની પૂરી તાકાતથી રમી હતી. ઓસ્ટ્રેલિયાએ તે ત્રીજી વનડે સરળતાથી જીતી લીધી હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ મેચમાં સાવચેતીથી રમવું પડશે. દરેક દિગ્ગજ ક્રિકેટર માને છે કે વર્લ્ડકપ જીતવા માટે ઓસ્ટ્રેલિયાને હરાવવા ખૂબ જ જરૂરી છે. કાંગારુઓને ક્યારેય ઓછો આંકી શકાય નહીં.