/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/15132340/maxresdefault-177.jpg)
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત સરકાર દ્વારા આગામી દિવસોમાં મગફળીના પ્રતિમણ દીઠ 1055 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સમગ્ર રાજ્યમાં અતિવૃષ્ટિના પરિણામે જે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે, તે માટે હર હંમેશની જેમ ગુજરાત સરકાર ખેડૂતોના પડખે ઊભી રહી છે. જે ખેડૂતોના ઊભા પાકને 33 ટકાથી વધુ નુકશાન થયું છે, તેઓને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ હેઠળ સહાય કરવા માટે સરકારે નિર્ણય કર્યો છે. આ માટે સર્વેની કામગીરી 15 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. રાજ્યમાં 13 લાખ હેક્ટર વિસ્તારમાં ખેડૂતોના પાકને નુકશાન થયું છે. જે પૈકી 3 લાખ હેક્ટર વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ઉપરાંત જરૂર જણાશે તો ખેડૂતોના હિતમાં સર્વેની કામગીરીને લંબાવવામાં પણ આવશે.
કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે 1 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ત્યારબાદ 21મી ઓકટોબરથી ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે. ખરીદીની પ્રક્રિયા રાજ્યમાં 90 દિવસ સુધી ચાલશે. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ નાફેડ એજન્સી દ્વારા ખરીદી કરાશે. જે માટે ગુજરાત અન્ન નાગરિક પુરવઠા નિગમ નોડલ એજન્સી તરીકે નિયત કરવામાં આવી છે