T20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત બાદથી ઘણા ખેલાડીઓની પસંદગીને લઈને ચર્ચાઓ થઈ રહી છે. આ વચ્ચે ભારતને પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ભૂતપૂર્વ અનુભવી બેટ્સમેન રોબિન ઉથપ્પાએ નિવૃત્તિની જાહેરાત કરી છે. ઉથપ્પાએ 14 સપ્ટેમ્બર, બુધવારે એક નિવેદન જાહેર કરીને ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. ઉથપ્પાએ 2006માં ભારતીય ક્રિકેટ ટીમ માટે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું.

ઉથપ્પાએ ટ્વિટર પર નિવૃત્તિની જાહેરાત કરતા લખ્યું હતું કે મારા દેશ અને મારા રાજ્ય કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે સૌથી મોટું સન્માન રહ્યું છે. જો કે, દરેક સારી વસ્તુનો અંત આવે છે અને મારા હૃદયમાં કૃતજ્ઞતા સાથે મેં ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે.