યુક્રેનમાં ભારત અને પાકિસ્તાન સહિતના અન્ય દેશોના વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં અભ્યાસ કરે છે, ત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલા યુદ્ધના કારણે હવે વિદ્યાર્થીઓ વતન વાપસી કરી રહ્યા છે. તેવામાં પાકિસ્તાની વિદ્યાર્થીઓએ પણ યુક્રેન સરહદ સુધી પહોંચાડવા માટે ભારતના તિરંગાનો સહારો લેવો પડ્યો હતો. તિરંગાના કારણે જ પાકિસ્તાની વિદ્યાર્થીઓને રસ્તામાં કોઈ જ સમસ્યાનો સામનો કરવો નથી પડ્યો તેવું જાણવા મળ્યું છે.
યુક્રેનમાં ભારત, પાકિસ્તાન અને એશિયાના અન્ય દેશોના વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં મેડિકલ અને અન્ય વિષયોનો અભ્યાસ કરે છે. ગત તા. 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયન હુમલા બાદ ત્યાં ભણતા આ વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા, ત્યારે અંતે યુક્રેનમાં સ્થિતિ વણસ્યા બાદ ભારત સરકાર ‘ઓપરેશન ગંગા’ હેઠળ પોતાના નાગરિકો અને વિદ્યાર્થીઓને ત્યાંથી સતત બહાર કાઢી રહી છે. ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનના પડોશી દેશો રોમાનિયા, પોલેન્ડ, હંગેરી, સ્લોવાકિયા અને મોલ્ડોવાની સરહદે પહોંચી રહ્યાં છે, કે જ્યાંથી ભારત તેઓનું રેસ્ક્યુ કરે છે. તેવામાં કેટલાક એવા વિડીયો પણ સામે આવ્યાં છે કે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાનના વિદ્યાર્થીઓએ ભારે સંકટની આ ઘડીમાં પોતાને સુરક્ષિત રીતે યુક્રેનની સરહદ સુધી પહોંચાડવા માટે ભારતના તિરંગાનો સહારો લેવો પડ્યો છે. એટલું જ નહીં પાકિસ્તાની વિદ્યાર્થીઓએ ‘ભારત માતા કી જય’ના નારા પણ લગાવ્યા છે. ભારતીય વિદ્યાર્થીઓનું કહેવું છે કે, તિરંગાએ તેમને યુક્રેનમાંથી બહાર નીકળવામાં ઘણી મદદ કરી છે, ત્યારે પાકિસ્તાની અને તુર્કીના વિદ્યાર્થીઓએ પણ સરહદ સુધી પહોંચવા માટે તિરંગાનો સહારો લીધો હતો. એક પાકિસ્તાની વિદ્યાર્થીને આ બાબતની જાણ થતાં તેણે પોતે 4 અલગ અલગ સ્પ્રે કલર લાવી ભારતના રાષ્ટ્રધ્વજ એવા તિરંગાને બનાવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170