સાબરકાંઠા જિલ્લાના સાંસદ દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં પ્રાંતિજ તાલુકાના બોભા ગામથી સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત પાંચમા તબક્કાની કામગીરીનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ૪૦૮ કામો હાથ ધરવામાં આવશે. જેમાં ૮૦૬૪૭૩ ઘન મીટર માટી કામ થશે, જેમાં ૨૮.૨૫ લાખ ઘનફૂટ પાણીનો સંગ્રહ થશે.
જેમાં ૨૧૬૯.૫૭ લાખ રૂપિયાનો ખર્ચ થશે. જિલ્લામાં સાંસદ, ધારાસભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પોતાના વિસ્તારમાં જળ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં તળાવો ઉંડા કરવા, ચેકડેમ ડીસીલ્ટીંગ, નહેરની સફાઈ, જળાશય ઊંડા કરવા, નદીઓની સફાઈ મરામત જેવા જળસંગ્રહના કામ હાથ ધરાશે. રાજ્યમાં તા. ૧૯ માર્ચથી ૩૩ જિલ્લાઓમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન ૨૦૨૨નો પ્રારંભ મુખ્યમંત્રી, મંત્રીશ્રીઓ અને સ્થાનિક જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં તળાવો ઉંડા કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જેમાં પૂજા અને ખાતમુહૂર્ત કરીને આ રાજ્યવ્યાપી અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બોભા ખાતે સાંસદ દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રમીલા બારા, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયતના પ્રમુખ ધીરજ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તથા જિલ્લા કલેક્ટર હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારી દિપેન શાહ અને હાજર અગ્રણીઓએ ઉત્સાહભેર આ અભિયાનને વધાવ્યું હતું.
