દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સેનાની ભરતીની અગ્નિપથ યોજનાને દિશાહીન ગણાવી છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે તેમના વતી નિવેદન જારી કર્યું હતું. જેમાં કેન્દ્ર સરકાર પર યુવાનોના અવાજની અવગણના કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સેનામાં ભરતીની નવી યોજના સંપૂર્ણપણે દિશાવિહીન છે. સોનિયા ગાંધીએ યુવાનોને અહિંસક અને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાની અપીલ કરી હતી. કહ્યું કે કોંગ્રેસ આ આંદોલનમાં યુવાનોની સાથે છે. યુવાનો માટે જારી કરાયેલા નિવેદનમાં સોનિયા ગાંધીએ કહ્યું છે કે તમે સેનામાં જોડાવા અને દેશની સેવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય કરવા ઈચ્છો છો. સેનામાં લાખો જગ્યાઓ ખાલી હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી ભરતી ન થવાની પીડા હું સમજી શકું છું. એરફોર્સમાં ભરતીની પરીક્ષા આપીને પોતાના પરિણામ અને નિમણૂકની રાહ જોઈ રહેલા યુવાનો સાથે મને સંપૂર્ણ સહાનુભૂતિ છે. એક સાચા દેશભક્તની જેમ સત્ય, અહિંસા, શાંતિ અને સંયમના માર્ગે ચાલીને સરકાર સામે તમારો અવાજ ઉઠાવીશું. તમને કાયદેસરની માંગણીઓ માટે શાંતિપૂર્ણ અને અહિંસક રીતે આંદોલન કરવા વિનંતી છે.
