એશિયા કપ માટે આજે ટીમ ઈન્ડિયાની કરવામાં આવશે જાહેરાત
30 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપ માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવશે. બપોરે 1.30 વાગ્યા સુધીમાં ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ પણ હાજરી આપશે. વર્લ્ડ કપ પહેલા એશિયા કપ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ છે. એશિયા કપ માટે જે ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે તેમને વર્લ્ડ કપની ટીમમાં પણ સ્થાન મળશે તે પણ નક્કી છે.
એશિયા કપ માટે કેએલ રાહુલ અને શ્રેયસ ઐય્યરની વાપસી નક્કી માનવામાં આવી રહી છે. જસપ્રીત બુમરાહે આયરલેન્ડ સામેની ટી-20 સીરિઝમાં પોતાની ફિટનેસ સાબિત કરી દીધી છે અને તેને એશિયા કપ માટે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. એશિયા કપ માટે પ્રસિદ્ધ કૃષ્ણાની પણ પસંદગી થઈ શકે છે. પસંદગીકારો એશિયા કપ માટે ટીમમાં 17 ખેલાડીઓને સ્થાન આપવા જઈ રહ્યા છે. જો કે વર્લ્ડ કપ માટે માત્ર 15 ખેલાડીઓની પસંદગી થઈ શકે છે.