સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ભામૈયા ગામે 4 બાળકીઓએ રતન જ્યોતના ઝેરી બી ખાઈ લીધા હતા, ત્યારે ચારેય 4 બાળકીઓની તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, બારડોલી તાલુકાના ભામૈયા ગામના હળપતિ વાસમાં ભૂલકાઓ રમત રમતા હતા, તે દરમ્યાન 4 બાળકીઓએ ખાવાની ચીજવસ્તુ સમજી ભૂલથી રતન જ્યોતના ઝેરી બી ખાઈ લીધા હતા. જોકે રતન જ્યોતના બી ખવાઈ જતા ચારેય બાળકીઓની તબિયત લથડી હતી, ત્યારે બાળકીઓને સૌપ્રથમ સારવાર અર્થે કડોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી હતી. જોકે બાળકીઓની તબિયત વધુ બગડતા બારડોલી સ્થિત સરદાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હાલ ચારેય બાળકીઓની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.