કેન્દ્ર સરકારની જેમ સુરત મનપા દ્વારા પણ બજેટ બાદની સામાન્ય સભા પહેલાં હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ મનપાની સામાન્ય સભા દરમ્યાન મેયર હેમાલી બોઘાવાલાની દરખાસ્ત સર્વોનુમતે મંજૂર કરવામાં આવી હતી.

સુરત મહાનગરપાલિકા પણ કેન્દ્ર સરકારના રસ્તે આગળ ચાલી રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા રજૂ કરેલા બજેટ બાદ આજે સામાન્ય સભાનો પહેલો દિવસ હતો. આ સામાન્ય સભામાં મેયર સહિતના તમામ પદાધિકારીઓ અને કોર્પોરેટરો પહોંચે તે પહેલાં હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય સભા શરૂ થાય તે પહેલાં મેયર દ્વારા તમામ કોર્પોરેટરોનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું. આ સેરેમનીમાં શાસક પક્ષના નેતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના તમામ કોર્પોરેટરો હાજર રહ્યા હતા. કેન્દ્ર સરકારની માફક સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વખત આ પ્રકારે હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. બજેટ દરમ્યાન મેયર હેમાલી બોઘાવાલાની દરખાસ્ત સર્વોનુમતે મંજૂર કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, આ બજેટમાં મિલકતના સામાન્ય વેરામાં પ્રતિ ચોરસ મીટરે વાર્ષિક 10% તેમજ રહેઠાણ સિવાયના સામાન્ય વેરા ઉપરાંત યુઝર ચાર્જમાં પણ રાહત આપવામાં આવી છે. તો બીજી તરફ, તમામ મિલકતો પર ફાયર ચાર્જમાં 50% રાહત, જ્યારે મિલકતના ટેક્સમાં કુલ રૂપિયા 48.61 કરોડની રાહત અપાય છે.