ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા છે. ઓપરેશન સિંધુ હેઠળ 110 ભારતીય વિદ્યાર્થીઓની પહેલી ફ્લાઇટ ઈરાનથી પરત ફરી છે. ભારતીય વિદ્યાર્થીઓને લઈને ઈરાનથી આવેલું વિમાન આજે વહેલી સવારે દિલ્હી પહોંચ્યું હતું. ઇરાનથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓએ ઈરાનની પરિસ્થિતિનું વર્ણન કર્યું. આ બધા વિદ્યાર્થીઓ ઈરાનના ઉર્મિયાથી પાછા ફર્યા છે. બધા વિદ્યાર્થીઓ ઉર્મિયા યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે, પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને આશા વ્યક્ત કરી કે, પરિસ્થિતિમાં સુધારો થશે અને તેમનો અભ્યાસ ફરી શરૂ થશે.
વાસ્તવમાં યુદ્ધગ્રસ્ત ઈરાનથી 100 વિદ્યાર્થીઓને આર્મેનિયા લઈ જવામાં આવ્યા હતા. આ પછી ગુરુવારે વહેલી સવારે તેમની ફ્લાઇટ દિલ્હીમાં ઉતરી. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે બોમ્બમારો ચાલુ છે. ઈરાન પર સતત મિસાઈલોથી હુમલો થઈ રહ્યો છે ત્યારે ભારતીય વિદ્યાર્થીઓને તેહરાનથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ 'ઓપરેશન સિંધુ' હેઠળ મંગળવારે 110 વિદ્યાર્થીઓએ આર્મેનિયાની સરહદ પાર કરી હતી.