/connect-gujarat/media/post_banners/9b6e1d52f1c427b9d2341814b5a603ed4fc4c47e12453a56fb2e97f17f95e526.jpg)
સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનમાં સફાઈ કરવા ઉતરેલા 3 શ્રમિકો પૈકી 2 શ્રમિકોના પાઇપ લાઇનમાં પડતા ગૂંગળામણના કારણે મોત થયા હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી અનુસાર, સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલ એસ.વી.એન.આઇટી કોલેજ નજીક ડ્રેનેજ લાઈનની સફાઈ કામગીરી કરવા શ્રમિકો ચેમ્બરમાં ઉતર્યા હતા. એક શ્રમિક અંદર પડ્યો હતો. અંદર પડતાની સાથે અન્ય એક શ્રમિક પણ તેને બચાવવા માટે નીચે ઉતર્યો હતો. જોકે, બન્ને ગૂંગળામણના કારણે બેભાન થઈ ગયા હતા. બન્ને મજૂરો બહારના આવતા ત્રીજો શ્રમિક અંદર જઈને જોતા એ પણ ઇજાગ્રસ્ત થયો હતો, ત્યારે અન્ય શ્રમિકો દ્વારા તેને બચાવીને બહાર કાઢી લેવાયો હતો. જોકે, 2 શ્રમિકોના ઘટનામાં મોત થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગ કર્મચારીઓએ ઘટના સ્થળ ઉપર પહોંચીને રેસ્ક્યુની કામગીરી શરૂ કરી હતી. ડ્રેનેજ લાઈનમાં ગૂંગળામણના કારણે બેભાન અવસ્થામાં શ્રમિકોને બહાર કાઢી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે મેયર સહિત મનપાના અધિકારીઓ પણ સિવિલ હોસ્પિટલે પહોંચ્યા છે. તો બીજી તરફ, સમગ્ર ઘટનાની તપાસ ઉમરા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.