સુરત : "વોટ ફોર ગુજરાત"ની વિશાળ માનવાકૃત્તિ, શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળનું અનોખુ મતદાર જાગૃતિ અભિયાન
સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મતદાન જાગૃતિનો અનોખો પ્રયાસ હાથ ધરાયો હતો.
આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદારો જાગૃત્ત બની વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તેવા આશય સાથે સુરતના વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે 'વોટ ફોર ગુજરાત'ની વિશાળ માનવાકૃત્તિ રચીને આકર્ષક ચિન્હની રચના કરવામાં આવી હતી.
સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મતદાન જાગૃતિનો અનોખો પ્રયાસ હાથ ધરાયો હતો. સ્વામિનારાયણ ગુરુકુળમાં ભણતા વિદ્યાર્થીઓના દ્વારા મતદાન જાગૃતિના સંદેશ સાથેની વિશેષ માનવાકૃત્તિની રચના કરવામાં આવી હતી. ગુરુકુળના વિદ્યાર્થીઓએ "વોટ ફોર ગુજરાત"ની વિશાળ માનવાકૃત્તિ બનાવી હતી. જેમાં 1000થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા આવનાર ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વધુને વધુ લોકો મતદાન કરવા જાય તે માટે અનોખી રીતે સંદેશો પાઠવાયો હતો. જેમાં ગુરુકુળના શિક્ષકો આચાર્ય દ્રષ્ટિ સ્વામી અને વિદ્યાર્થીઓ સાથે મળી ગુજરાતનો નક્શો બનાવ્યો હતો. મતદાન જાગૃતિના સંદેશા સાથેની માનવાકૃત્તિને ડ્રોન કેમેરાથી શૂટ કરવામાં આવી હતી, ત્યારે આ માનવાકૃત્તિને ઊંચાઈએથી જોતા અદભુત નજારો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા અને જુદા જુદા માધ્યમ થકી મતદાન જાગૃતિના સંદેશને લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ તકે સ્વામિનારાયણ ગુરુકુળના પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, કિંમતી વોટના દાનમાં ક્યારેય ઓટ ન આવવા દેવી જોઈએ. વિદ્યાદાન, અન્નદાન, વસ્ત્રદાન વગેરે દાનમાં માણસને ખર્ચ કરવો પડતો હોય છે, જ્યારે મતદાન વગર ખર્ચનું દાન છે. આ પવિત્ર દાન એક એવું માધ્યમ છે કે, જે સરકાર રચી પણ શકે છે, ને સત્તાને પદભ્રષ્ટ પણ કરી શકે છે. એટલે જ જાતિવાદ, જ્ઞાતિવાદ અને કોમવાદના ઉન્માદને દફનાવનારૂ મતદાન અવશ્ય કરવું.