/connect-gujarat/media/post_banners/de47867a1c1bbbb5cdd3275ff5618b5ea924ad2ae9a25fa5ff74f815d3d39fb0.jpg)
સુરતના પાંડેસરા વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાના મામલામાં કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો છે ત્યારે આવતીકાલે સજાનું એલાન કરવામાં આવશે. ગત તા.4 નવેમ્બરે દિવાળીની સાંજે સુરતના પાંડેસરા વિસ્તારમાં ઘર નજીકથી અપહરણ કરાયેલી અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં બાળકી પર દુષ્કર્મ આચરી તેનું ગળું દબાવી હત્યા કરાય હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપીને તા.8 નવેમ્બરના રોજ ઝડપી પાડ્યો હતો. જે આરોપી હાલ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં બંધ છે. પોલીસ દ્વારા આરોપી પકડાયાના 7 દિવસમાં જ 246 પાનાની ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી હતી. આ ચાર્જશીટમાં મેઈન સાક્ષીઓના નિવેદન, સીસીટીવી ફૂટેજ, મેડિકલમાં એફએસએલનો રિપોર્ટ, ઓળખ પરેડની કામગીરી સહિતના પુરાવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કેસમાં બાળકીને શોધવા માટે 100થી વધુ પોલીસ જવાનોએ કામગીરી કરી હતી. આ કેસમાં 43 સાક્ષીઓની જુબાની લેવાઈ છે.આ કેસમાં આજરોજ કોર્ટે ચુકાદો આપ્યો હતો અને આરોપીને દોષિત જાહેર કર્યો હતો અને આવતીકાલે સજાનું એલાન કરવામાં આવશે. ત્યારે સરકારી વકીલ દ્વારા આરોપીને ફાંસીની સજાની માંગ કરવામાં આવી છે.