-
બ્રિટનમાં મંગેતરની હત્યા કરનાર કેદીને સુરત લવાયો
-
પરિવારે સંધિ મુજબ જેલ ટ્રાન્સફરની માંગી હતી મંજુરી
-
યુકે અને ભારત સરકારની સંધિ મુજબ કાર્યવાહી કરાય
-
સુરતની લાજપોર જેલમાં હત્યારા કેદીને ટ્રાન્સફર કરાયો
-
અન્ય દેશમાંથી જેલ ટ્રાન્સફરિંગનો પહેલો કિસ્સો નોંધાયો
સુરતની લાજપોર જેલમાં હાલમાં એક અનોખો અને ચકચારી કિસ્સો જોવા મળ્યો છે. જેમાં યુકેના લેસ્ટર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા પામેલા કેદી જિગુ સોરઠીને ભારતની જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. આ ટ્રાન્સફર યુ.કે. અને ભારત સરકાર વચ્ચે થયેલી આંતરરાષ્ટ્રીય સંધિના કરાર અનુસાર થઈ છે.
વર્ષ 2020માં યુકેના લેસ્ટર શહેરમાં જિગુએ પોતાની મંગેતર ભાવિની પ્રવીણની ક્રૂરતાથી હત્યા કરી હતી. તેણે ચપ્પુના ઘા મારીને ભાવિનીને મોતને ઘાટ ઉતારી હતી. આ ઘટનાએ યુકેમાં જ નહીં, પરંતુ જિગુના વતન ભારતમાં પણ ચકચાર મચાવી હતી. ક્રૂરતા અને બર્બરતાથી ભરેલા આ હત્યાકાંડમાં લેસ્ટર કોર્ટે જિગુને 28 વર્ષની આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટના નિર્ણય દરમિયાન જે ટિપ્પણી કરવામાં આવી હત. એ આ કિસ્સાની ગંભીરતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. આ મામલે કોર્ટે જણાવ્યું હતું કે, આ હત્યાકાંડ અત્યંત ભયાનક છે, અને તેમની મંગેતરનું જીવન સુંદર ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું હતું, જે ક્રૂરતાથી છીનવાઈ ગયું. જોકે, 4 વર્ષ સુધી યુકેની જેલમાં સજા ભોગવ્યા બાદ જિગુ સોરઠીના પરિવારજનોએ તેમને વતન ભારતની જેલમાં મોકલવા માટે સરકાર સમક્ષ અપીલ કરી હતી.
આ માટે યુકે અને ભારત વચ્ચેના આંતરરાષ્ટ્રીય કરાર અનુસાર કાયદેસર પ્રક્રિયા હાથ ધરવામાં આવી. બન્ને દેશોના અધિકારીઓ અને એમ્બેસીના સંકલન બાદ ટ્રાન્સફરને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ગત તા. 16 ડિસેમ્બર 2024ના રોજ બ્રિટિશ એસ્કોર્ટ સ્ટાફે જિગુને સુરક્ષિત રીતે યુકેથી દિલ્હી પહોંચાડ્યો હતો. તે સમયે સુરત પોલીસનું એક વિશેષ પદાધિકારી દળ, જેમાં ડીવાયએસપી અને પીઆઈ સહિતના અધિકારીઓ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કેદીનો કબજો લેવા માટે પહોંચ્યા હતા. અહીં યુકે અને ભારતના પોલીસ અધિકારીઓ વચ્ચે કેદીની આપ-લે માટે કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી, જ્યાં કેદીનો કબજો લેવાના તમામ તબક્કાઓનું વીડિયોગ્રાફી અને ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું હતું. આ તબક્કાઓમાં યુકે પોલીસે કેદી જિગુ સોરઠીને ભારતના સુરત પોલીસના અધિકારીઓને સોંપી દીધો હતો. જે બાદ, સુરત પોલીસ તે કેદીને લઈને ટ્રેન મારફત સુરત આવી હતી.