-
દીક્ષા મહોત્સવ-વર્ષીતપ પારણા મહોત્સવનું ભવ્ય આયોજન
-
આકરા તડકાથી લોકોને રાહત આપતો જૈન સમાજનો પ્રયાસ
-
શ્રાવકો અને મહોત્સવમાં ભાગ લેતા શ્રદ્ધાળુઓ માટે સુવ્યવસ્થા
-
1140 ફૂટ લાંબ માર્ગને કાપડથી ઢાંકી મંડપમાં રૂપાંતરિત કર્યો
-
જૈન સમાજ દ્વારા કરાયેલ પ્રશંસનીય ઉપક્રમની લોક સરાહના
સુરત શહેરના ઉધના વિસ્તારમાં ગરમીની તીવ્રતા વચ્ચે શ્રાવકો અને મહોત્સવમાં ભાગ લેતા શ્રદ્ધાળુઓને આરામદાયક માહોલ આપવામાં આવે તે માટે જૈન સમાજ દ્વારા ઉધના તેરાપંથ ભવનથી તરણકુંડ સુધી 1140 ફૂટ લાંબો માર્ગ કાપડથી ઢાંકી મંડપમાં રૂપાંતરિત કરી દેવામાં આવ્યો છે.
સમગ્ર રાજ્યમાં હાલના દિવસોમાં ઉનાળાની કાળજાળ ગરમી પડી રહી છે, ત્યારે સુરત શહેરના ઉધના વિસ્તારમાં ગરમીથી બચવા અનોખો પ્રયાસ જોવા મળી રહ્યો છે. જૈન સમાજ દ્વારા એક અનોખો અને પ્રશંસનીય ઉપક્રમ કરવામાં આવ્યો છે. સમગ્ર રોડને મંડપ બાંધીને છાયા હેઠળ લાવવામાં આવ્યો છે.
ગરમીની તીવ્રતા વચ્ચે શ્રાવકો અને મહોત્સવમાં ભાગ લેતા શ્રદ્ધાળુઓને આરામદાયક માહોલ આપવામાં આવે તે માટે ઉધના તેરાપંથ ભવનથી લઈ તરણકુંડ સુધીનો 1140 ફૂટ લાંબો માર્ગ કાપડથી ઢાંકી દેવામાં આવ્યો છે. જૈન સમાજ દ્વારા આ વિશેષ વ્યવસ્થા તા. 24 એપ્રિલથી 2 મે, 2025 સુધી યોજાનારા મહાપર્વને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આ સમયે 4 દીક્ષા મહોત્સવ સાથે વર્ષીતપ પારણા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ તમામ ધાર્મિક કાર્યક્રમો સ્થાવકવાસી સંપ્રદાયના પ્રખર સંત, આચાર્ય શ્રી શિવમુનિ મહારાજની નિશ્રામાં યોજાવાના છે. સમાજના બહોળા સહયોગ અને સેવાભાવી કાર્યકર્તાઓની સક્રિય ભાગીદારીથી આ સમગ્ર આયોજન નિર્વિઘ્ન કરવામાં આવ્યું છે.
રોડ પર છાંયડો કરવા માટે જ્યાં મંડપ બાંધવામાં આવ્યા છે, ત્યાં ગરમીમાંથી રાહત આપતા પંખા, પીવાના પાણીની વ્યવસ્થા, આરામદાયક બેસવાની જગ્યા તેમજ સુવ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થાપન પણ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારે તાપમાન વચ્ચે સામાન્ય લોકોને પણ આ વ્યવસ્થાનો લાભ મળી શકે તેમ છે, જે જૈન ધર્મના કરુણા અને સેવા જેવા મૂળ મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે.