/connect-gujarat/media/post_banners/af0d06e34514d0da91b6601d2b9fd1a8c9038f026967bb4b08fb659fafae0b65.jpg)
સુરત શહેરમાં કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન સ્મશાનગૃહોમાં અંતિમ સંસ્કાર માટે મૃતદેહોની કતાર લાગી હતી. કોરોનાની મહામારીમાંથી બોધપાઠ લઇને સુરત મનપાએ હવે સ્મશાનગૃહોને ગ્રાંટ આપવા માટે નવી નિતિ તૈયાર કરી છે.
સુરત શહેર મહાનગરપાલિકા હવે સ્મશાનગૃહોમાં સગડીઓની સંખ્યા તથા ડાઘુઓ માટે સુવિધા વધારવા માટે ગ્રાંટ આપવા જઇ રહી છે. સ્મશાનગૃહોમાં ગેસ તથા ઇલેકટ્રીક સગડી વધારવા માટે આર્થિક મદદ પણ કરવામાં આવશે. કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન શહેરમાં સ્મશાનગૃહો ખુટી પડયાં હતાં. શહેરમાં આવેલાં સ્મશાનગૃહોમાં અંતિમ સંસ્કાર માટે મૃતદેહોની કતાર લાગી હતી. કેટલાય મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે સુરતની આસપાસ આવેલાં ગામોમાં લઇ જવામાં આવ્યાં હતાં. ભવિષ્યમાં આવી સ્થિતિ નહી સર્જાય તે માટે પાલિકાએ સ્મશાન ગૃહોમાં ગેસ અને ઈલેક્ટ્રોનિક ભઠ્ઠીઓની સંખ્યામાં વધારો કરવા ટ્રસ્ટોને ગ્રાન્ટ આપવાનું મન બનાવી લીધું છે. સ્મશાનગૃહોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ તથા જાળવણી માટે ગ્રાન્ટની નવી નીતિ તૈયાર કકરી શાસકોની મજુરી માંગવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તરણ બાદ મનપાની હદમાં આવેલાં સ્મશાનગૃહોની સંખ્યા 12 થઇ છે. જે પૈકી અશ્વનીકુમાર સ્મશાન, ઉમરા સ્મશાનભૂમિ અને કુરુક્ષેત્ર સ્મશાનભૂમિ મુખ્ય છે અને હાલ લીંબાયત ખાતે નવું સ્મશાન નિર્માણ પામી રહયું છે. હાલમાં કાર્યરત સ્મશાન ગૃહની જાળવણી માટે પાલિકા દ્વારા અલગ અલગ ગ્રાન્ટ ચુકવવામાં આવે છે. કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિની જાળવણીમાટે પાલિકા દ્વારા ૧૦૦ જયારે અશ્વનીકુમાર સ્મશાન માટે ૫૦ ટકા ગ્રાન્ટ આપવામાં આવે છે. ઉમરા ખાતે આવેલાં રામનાથ ઘેલા સ્મશાન ભૂમિના સંચાલકો મનપા પાસેથી ગ્રાન્ટ લેતા નથી. સ્મશાન ભૂમિના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસાવવા માટે નવા નીતિ નિયમો તૈયાર કરી સ્થાયી સમિતિની મંજુરી માટે મુકવામાં આવ્યાં છે. હાલમાં કાર્યરત તમામ સ્મશાન ગૃહોમાં લાકડાની ૩૫ અને ગેસની ૨૪ ભઠ્ઠીઓ કાર્યરત છે. શહેરની ૬૫ લાખની વસ્તીને ધ્યાનમાં લેતા આ સંખ્યા ખુબ ઓછી છે. મનપા તરફથી આપવામાં આવનારી ગ્રાંટનો લાભ લેવા માટે સ્મશાનભુમિના સંચાલકોએ આરોગ્ય વિભાગમાં નોંધણી કરાવવી પડશે.