ઉધના રેલવે સ્ટેશન બહાર લોકોની 1 કિમી લાંબી કતાર
દિવાળી, છઠ્ઠ પૂજા, બિહાર ચૂંટણીને લઈને વતનની વાટ
ટ્રેન મારફતે વતન જવા હજારો મુસાફરોની લાંબી કતાર
ભીડને કાબૂમાં રાખવા માટે રેલવે તંત્ર વધુ સજ્જ બન્યું
અનિચ્છનીય ઘટના ન બને તે માટે રેલવે પોલીસ સતર્ક
દિવાળી, છઠ્ઠ પૂજા અને બિહાર ચૂંટણીને લઈને સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરોનો જનસાગર ઉમટ્યો છે, જ્યાં હજારો પરપ્રાંતિય મુસાફરોએ ટ્રેન મારફતે વતન જવા લાંબી કતારો લગાવી હતી.
દિવાળી અને છઠપૂજા પહેલાં ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિસા તરફની ટ્રેનોમાં ભારે ધસારો જોવા મળે છે, પરંતુ આ વખતે બિહારમાં ચૂંટણી હોવાથી દર વર્ષ કરતાં વધુ ભીડ જોવા મળી રહી છે. જોકે, હવે દિવાળીના તહેવારોને ગણતરીના દિવસ બાકી છે, ત્યારે ઉત્તરપ્રદેશ, બિહાર તરફની ટ્રેનોમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જેથી ઉધના રેલ્વે સ્ટેશન બહાર ટ્રેનમાં બેસવા માટે પરપ્રાંતીય મુસાફરોની 1 કિમી લાંબી કતાર લાગી છે. સવારથી બપોર સુધીમાં 4 ટ્રેનમાં બેસવા 6 હજારથી વધુ મુસાફરો રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા.
સુરત ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર હોવાથી અહીં મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો વસે છે. તહેવારો અને ચૂંટણીના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર સાથે જોડાવા નીકળતા, રેલવે સ્ટેશન પર જનસાગર ઉમટ્યો છે. તો બીજી તરફ, ભીડને કાબૂમાં રાખવા સાથે કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને તે માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ અને રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ સતત પેટ્રોલિંગમાં જોવા મળી હતી.