સુરત સિવિલ હોસ્પિટલમાંથી 3 વર્ષીય બાળક ગુમ થઈ જતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જે મામલે 1 હજાર જેટલા CCTV કેમેરા તપાસતા બાળકને લઈ જતી મહિલા ભેસ્તાન વિસ્તારમાંથી મળી આવી હતી. પોલીસે બાળકને મુક્ત કરાવી મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત સિવિલ હોસ્પિટલમાંથી ગુમ થયા બાદ બાળકને શોધવા માટે પોલીસ દ્વારા 23 જેટલી ટીમ બનાવવામાં આવી હતી. જેઓએ 1 હજાર જેટલા CCTV કેમેરા ચેક કર્યા હતા. એક એક CCTV ચેક કરીને આરોપી મહિલા અને તેના પતિ સુધી પહોંચ્યા હતા, જ્યારે બાળકને લઈ જનાર મહિલા ભેસ્તાન આવાસ ખાતેથી મળી આવી હતી. આરોપી મહિલા પાનફુલ દેવી અને તેના પતિ ઇન્દ્રબલી રેખારામ રવિદાસને ઝડપી પાડવામાં આવ્યા છે.
આ સાથે જ બાળકને પણ સહી સલામત રીતે મુક્ત કરવામાં સફળતા મળી છે. ઝડપાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, આરોપી ઇન્દ્રબલીને 2 પત્ની છે, જેમાં પહેલી પત્ની પાનફુલ દેવી છે, તેના થકી તેને સંતાનમાં એક દીકરી છે, અને 18 વર્ષનો લગ્ન ગાળો થયો હોવા છતાં દીકરો ન હોય, જેથી પાનફુલ દેવીએ તેના પતિના 4 માસ પહેલા સંગીતા દેવી સાથે બીજા લગ્ન કરાવ્યા હતા. ઇન્દ્રબલીની બીજી પત્ની સંગીતા દેવીને તેના અગાઉના પતિ થકી સંતાનમાં 5 વર્ષનો એક દીકરો છે, જે દીકરો બીમાર પડતાં તેને પતિ-પત્ની અને બીજી પત્નીએ નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કર્યો હતો. આ દરમિયાન 3 વર્ષનું બાળક રમી રહ્યું હોવાથી પાનફુલ દેવીની તેની ઉપર નજર પડી હતી, અને તેને પુત્ર પ્રેમની લાલચમાં દાનત બગાડી બાળકને લલચાવી ફોસલાવીને અપહરણ કરી પોતાના ઘરે લઈ ગઈ હતી. પોલીસને આરોપીના ઘરમાંથી અન્ય બાળકો પણ મળી આવ્યા છે. જેથી તેમના DNA ટેસ્ટ કરાવવા સહિતની પણ કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો આરોપીઓને દીકરો ન હોવાનું પોલીસ સમક્ષ રટણ કરી રહ્યા છે. જોકે, પોલીસે હ્યુમન ટ્રાફિકિંગની દિશામાં પણ તપાસ હાથ ધરી રહી છે. બાળકને સહી સલામત પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવતા બાળકની માતાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ પુત્ર મળી જતા જીવમાં જીવ આવ્યો હોવાનું માતાએ જણાવ્યું હતું.