સુરત : બાકી નીકળતા રૂ. 2.50 ન આપવા પડે તે માટે રચ્યો હત્યાનો કારસો, નશામાં ચૂર શખ્સે કરી રત્નકલાકારની હત્યા..!
કતારગામ વિસ્તારમાં સંતોષીનગર નજીક હત્યાનો બનાવ, ટપોરીએ માથામાં બોટલ મારી રત્નકલાકારની કરી હત્યા.
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં સંતોષીનગર નજીક બાકી નીકળતા અઢી લાખ રૂપિયા આપવાના બહાને ખૂની ખેલ ખેલાયો છે. જેમાં નશામાં ચૂર ટપોરીએ રત્નકલાકારને માથામાં કાચની બોટલ મારી હત્યા કરી ભાગી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, વર્ષોથી સુરતમાં રહીને મૂળ ભાવનગરનો રહેવાસી સંજય રત્નકલાકાર તરીકે કામ કરી ઘરમાં આર્થિક રીતે મદદ કરતો હતો. લગભગ અઢી વર્ષ પહેલાં સંજયએ પ્રશાંતને અઢી લાખ રૂપિયા આપ્યા હતા. જે બાબતે સંજય વારંવાર પ્રશાંત પાસે રૂપિયાની ઉઘરાણી કરતો હતો.
આ બાબતે અગાઉ બન્ને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. જેની અદાવત રાખી પ્રશાંતે પ્રશાંતે ગત બુધવારની સાંજે સંજયને હત્યાના આયોજન પૂર્વક બોલાવ્યો હતો. દારૂના નશામાં ચૂર પ્રશાંતે બાકી નીકળતા રૂપિયા નહીં આપવા પડે તે માટે સંજય ઉપર હુમલો કરી માથામાં કાચની બોટલ મારી તેની હત્યા કરી નાખી હતી. બનાવની જાણ થતાં જ પરિવારના સભ્યો સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ત્યારે હાલ તો કતારગામ પોલીસ દ્વારા હત્યા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.