-
શશાંગિયા પરિવારે કરેલ સામુહિક આપઘાત મામલો
-
પોલીસે સુસાઈડ નોટના આધારે દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધ્યો
-
પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ
-
મૃતક પરિવારે પોતાનો ફ્લેટ દલાલ મારફતે સંજય પટેલને વેચ્યો હતો
-
મકાનના સોદામાં ટોકન પેટે સંજય પટેલે 1 લાખ આપ્યા હતા
-
મકાનની લોનના પાંચ હપ્તા બાકી હોવાથી સોદો કેન્સલ થયો હતો
-
ટોકનના રૂપિયા પરત માંગી શશાંગીયા પરિવારને કરાતો હતો ટોર્ચર
સુરતના અમરોલી ખાતે એન્ટેલીયા ડ્રીમનાં શશાંગીયા પરિવારની સામૂહિક આપઘાત મામલે પોલીસ દ્વારા આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ત્રિપુટીની ધરપકડ કરી છે.માતા-પિતા અને પુત્રના સામુહિક આપઘાત પ્રકરણમાં સુસાઇડ નોટના આધારે પોલીસે મકાન વેચાણના ટોકનના રૂપિયા 1 લાખની ઉઘરાણી કરી આપઘાત માટે મજબુર કરનાર રત્નકલાકાર પિતા-પુત્ર અને દલાલ સહિત ત્રણની ધરપકડ કરી છે.
સુરતના અમરોલી છાપરાભાઠા રોડ પર એન્ટિલિયા ડ્રીમ રેસિડેન્સીમાં સી/2 બિલ્ડિંગમાં રહેતા 54 વર્ષીય ભરતભાઈ દિનેશભાઈ શશાંગીયા તેમના પત્ની વનિતાબેન ઉં.વ.52 અને પુત્ર હર્ષ ઉં.વ. 24ના એ સામુહિક આપઘાત કરી લીધો હતો,ઘટનાને પગલે ભારે સનસનાટી મચી ગઈ હતી.હીરામાં મંદીને પગલે નોકરી છૂટી જતા ભરત વોચમેન તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને હર્ષ ફાઈનાન્સ કંપનીમાં લોન એજન્ટ તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો.
છેલ્લા પાંચ મહિનાથી આર્થિક સંકડામણને પગલે ફ્લેટના લોનના હપ્તા પણ બાઉન્સ થતા હતા. ઘરની આર્થિક પરિસ્થિતિ સુધારવા આ પરિવારે પોતાનો ફ્લેટ રૂપિયા 22 લાખમાં હિતેશ સંજય પટેલને વેચવા કાઢ્યો હતો, જેમાં દલાલ રાજુ આંબલિયા મારફતે એક લાખ રૂપિયા ટોકન પેટે પણ લઈ લીધા હતા, પરંતુ બાદમાં ફ્લેટ ખરીદનારને જાણ થઈ હતી કે મકાન પર બેંકના હપ્તા ચઢી ગયા છે. જેથી આખરે તેઓએ ભરતભાઈ અને તેના પુત્ર હર્ષ સાથે આ ફ્લેટનો સોદો કેન્સલ કરવાનું કહીને રૂપિયા એક લાખ પરત આપવા માંગણી કરી હતી.
ટોકનના રૂપિયા પરત ન આપી શકતા અને લોનના હપ્તા બાઉન્સ થયા હોવાથી હિતેશ, તેના પિતા સંજય અને દલાલ રાજુ દ્વારા સતત ત્રાસ આપીને ઘરે આવીને મારવાની ધમકી આપી હતી. ત્રિપુટીએ સતત ટોર્ચર કરતા શશાંગીયા પરિવાર માનસિક તણાવમાં આવી ગયો હતો.
ઉપરાંત ટોકન પેટેની એક લાખની રકમ 8 માર્ચના રોજ ચૂકવવાનો વાયદો કરવામાં આવ્યો હતો. પરંતુ આ રકમ ચૂકવી નહીં શકતા, 7 માર્ચને શુક્રવારે રાત્રે ઘરમાં ભરતભાઈ તથા પત્ની વનિતાબેન અને પુત્ર હર્ષે ઝેર ગટગટાવી લીધું હતું. ત્રણેયને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમિયાન ત્રણેયનું શુક્રવારે મોડી રાતે મોત થયું હતું.
અમરોલી પોલીસને તપાસમાં ભરતભાઈએ લખેલી સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં ભરતભાઈ સહિતને ધમકી આપનારા હિતેશ, સંજય અને દલાલ રાજુ દ્વારા ધમકી આપવાના કારણે આપઘાત કરવાનું પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
અમરોલી પોલીસે સુસાઈડ નોટ કબજે કરીને ખાનગી કંપનીમાં નોકરી કરતાં હિતેશ સંજયભાઈ પટેલ અને રત્નકલાકાર તરીકે કામ કરતા તેના પિતા સંજય મફતલાલ પટેલ તેમજ મકાન દલાલ રાજુ હરજીભાઇ આંબલિયાની ધરપકડ કરી હતી. આ ત્રણેયને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.