-
ગુજરાત પોલીસ દ્વારા હવે વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી
-
વ્યાજખોરો વિરુદ્ધ ગાંધીધામ પોલીસ દ્વારા કાર્યવાહી
-
વટ પાડવા બંદૂકનો ઉપયોગ કરનાર સામે કાર્યવાહી
-
બંદૂકના આપવામાં આવેલા લાઇસન્સ પણ રદ્દ કરાશે
-
સમગ્ર ગુજરાતમાં કાયદાનો સંકંજો કસાશે : હર્ષ સંઘવી
સુરત શહેરના ડુમસ વિસ્તારમાં નિર્માણ પામેલ નવા રોડના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીધામમાં વ્યાજખોરો વિરુદ્ધ થયેલી કાર્યવાહી તેમજ વટ પાડવા બંદૂકનો ઉપયોગ કરનાર લોકોના લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું.
સમગ્ર ગુજરાતમાં હવે રાજ્ય સરકાર વ્યાજખોરો પર સ્ટ્રાઇકની તૈયારીની પેરવીમાં છે, ત્યારે સુરત શહેરના ડુમસ વિસ્તારમાં નિર્માણ પામેલ નવા રોડના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીધામ પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કરેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે દેશના ઇતિહાસમાં પ્રથમવાર વ્યાજખોરો સામે સૌથી મોટું સ્ટ્રાઈક ઓપરેશન હાથ ધર્યું છે અત્યાર સુધીમાં હજારો લોકો જે પોતાનું સોનું, ઘર કે માતાના મંગળસૂત્ર જેવી કિંમતી વસ્તુઓ ગીરવે રાખી દેવા મજબૂર બન્યા હતા. આવા નાગરિકોને ન્યાય મળ્યો છે, અને તેમની મિલ્કત પાછી અપાવવા માટે રાજ્ય સરકારે મક્કમ પગલાં લીધા છે.
દેશના ઈતિહાસમાં પહેલીવાર એવું થયુ હશે કે, વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ થાય, ગુના પછી ગુજસીટોક કરવામાં આવે, સાથેસાથે વ્યાજથી બનાવેલી પ્રોપર્ટી જપ્ત કરવામાં આવે, અને આ જપ્ત કરાયેલી પ્રોપર્ટીની આવનારા દિવસોમાં હરાજી બોલાવીને રાજ્યના નાગરિકોના હિતમાં તે રૂપિયા વપરાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવે. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, કોઈપણ યોગ્ય કારણ વગર હથિયાર લાઇસન્સ મેળવી માત્ર પ્રભાવ બતાવવા કે, સોશિયલ મીડિયા પર રીલ્સ અને વીડિયો દ્વારા વટ પાડવા માટે તેનો ઉપયોગ કરતાં હોય તેવા લોકોના લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી પણ રાજ્યભરમાં શરૂ કરવામાં આવી છે.