ગુજરાતમાં જંત્રીના દરમાં રાજ્ય સરકારે 2 મહિનાની રાહત આપતા સુરત ક્રેડાઈ બિલ્ડરોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
ગુજરાત સરકારે રાતોરાત જંત્રીના ભાવ ડબલ કરી દેતા રાજ્યભરમાં બિલ્ડરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, હાલ રાજ્ય સરકારે 2 મહિનાની રાહત આપતા સુરત ક્રેડાઈ બિલ્ડરોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરવામાં આવી હતી. ગઈકાલે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે જંત્રી અંગે બિલ્ડરોના મુદ્દે બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તો આજે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્ય સરકારે તાજેતરમાં જંત્રી દરમાં કરેલો વધારો આગામી તા. 15 એપ્રિલથી અમલી કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં આ નિર્ણય કર્યો છે, ત્યારે આ નિર્ણયને સુરત ક્રેડાઈ બિલ્ડરો આવકારી રહ્યા છે.