/connect-gujarat/media/post_banners/84e030d11e480b7ed50da6198c80ad0de01acb4177205953084e332624ea69b7.jpg)
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે સુરતમાં રામમય વાતાવરણ સાથે રોજ-રોજ અવનવા કાર્યક્રમો યોજાય રહ્યા છે, ત્યારે કતારગામના મોટાં મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્મિત આબેહૂબ રામલલ્લાની રંગોળીમાં કેન્દ્રીય રેલ્વે અને ટેક્સટાઇલ રાજયમંત્રી દર્શના જરદોશે રંગો પૂર્યા હતા.
સુરત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું શહેર બન્યું છે, ત્યારે સુરતે હવે કલા અને આર્ટ ક્ષેત્રે પણ અગ્રેસર થઈને સંદેશો પાઠવ્યો છે. સુરતની કલાર્પણ આર્ટ ગ્રુપની 40 બહેનોએ મોટા મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આબેહૂબ શ્રીરામની રંગોળી બનાવવામાં આવી છે. પહેલી નજરે મનમોહિત થઈ જવાય એવી આ રંગોળી કુલ 11,111 સ્કે. ફૂટના વિસ્તારમાં બનાવાય છે. આકર્ષક એવી આ રંગોળીમાં અંદાજિત 1400 કિલોથી વધુ વિવિધ કલરના રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિશેષ નોંધનીય બાબત એ છે કે, સંસ્થા સાથે સંકળાયેલી 40 બહેનોએ સવારે 5 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી સતત 15 કલાકની મહેનત સાથે ભગવાન શ્રીરામની આકૃતિવાળી રંગોળીમાં ધાર્મિક ભાવના સાથે આકર્ષક રંગ પૂર્યા છે.
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે સુરતમાં થઇ રહેલાં વિવિધ આયોજન વચ્ચે આ આકર્ષક રંગોળી સાથેની આ સજાવટ ભવ્ય શ્રીરામ મંદિરને સમર્પિત છે. અનોખી ડિઝાઇન સાથેની રંગોળી સ્વરૂપે રામાયણના વિવિધ પ્રસંગોને સચિત્ર રજૂ કર્યા બાદ આ રામ દરબારની રંગોળી સાથે કલાર્પણ આર્ટ ગ્રૂપ અને સંબંધિત સંગઠનોએ હિન્દુ ધર્મની એકતા અને ધાર્મિક ભાવનાનો સંદેશ આપ્યો છે. આ પ્રસંગે આબેહૂબ રામલલ્લાની રંગોળીમાં કેન્દ્રીય રેલ્વે અને ટેક્સટાઇલ રાજયમંત્રી દર્શના જરદોશે પણ રંગો પૂર્યા હતા. નોંધનીય છે કે, ભગવાન શ્રીરામ લંકાના રાવણનો વધ કરીને ફરી અયોધ્યા આવ્યાં હતા, ત્યારે સમગ્ર અયોધ્યામાં દીપ પ્રજજવલન સાથે દિવાળી જેવો માહોલ હતો, ત્યારે તેવો જ માહોલ આ રંગોળી દ્વારા ઉપજતો હોય તેવું તાદ્શ ચિત્ર સુરતની ધરતી ઉપસ્યું છે. એટલું જ નહીં, આ ભવ્ય રંગોળીના કાર્યક્રમ અંગે યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડ માટે નોંધણી પણ કરવામાં આવી છે.