સુરત અને દક્ષિણ ગુજરાત પર વાવાઝોડાનો ખતરો ટળ્યો, જોકે હજી 24 કલાક ભારે પવન ફૂંકાવાની શક્યતા..!
સમગ્ર ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું ટકરાવાની સંભાવના વધી ગઈ છે, ત્યારે સુરત અને દક્ષિણ ગુજરાતમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે
સમગ્ર ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું ટકરાવાની સંભાવના વધી ગઈ છે, ત્યારે સુરત અને દક્ષિણ ગુજરાતમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. તેવામાં આવતીકાલ સુધી વાવાઝોડાની અસર રહે તેવી શક્યતા વર્તાય રહી છે.
રાજ્યમાં બિપરજૉય વાવાઝોડાના કારણે સ્થિતિ ભયાનક થઇ રહી છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત ભારે પવનો ફૂંકાવવાની સાથે વરસાદ વરસવાનો પણ શરૂ થઇ ચૂક્યો છે. ત્યારે સુરત શહેર અને દક્ષિણ ગુજરાત પર વાવાઝોડું પસાર થઈ ગયું છે અને કોઈ ભારે નુકશાની થઈ નથી. સુરત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવે વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. જોકે, હજી 24 કલાક સુધી ભારે પવન ફૂકાઈ શકે તેવું સુરતના ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર બી.કે.વસાવા દ્વારા જણાવવામાં આવ્યું છે. જેમાં તકેદારીના ભાગરૂપે સુરતના ડુમસ, ડભારી અને સુવાળી બીચને હજુ પણ બંધ રાખવામાં આવ્યા છે. વાવાઝોડાના પગલે હાલ રોરો ફેરી પણ 2 દિવસ માટે બંધ રાખવામાં આવી છે, ત્યારે વાવાઝોડાનું સંકટ ટળી જતાં સુરતના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.