અક્ષય કુમારની તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ ‘કેસરી ટુ’ સામે પશ્ચિમ બંગાળમાં શાસક પક્ષ તૃણમૂળ કોંગ્રેસ દ્વારા એફઆઈઆર નોંધાવવામાં આવી છે. ફિલ્મમાં પશ્ચિમ બંગાળના સ્વાતંત્ર્ય વીરોને લગતી કેટલીક હકીકતો ખોટી રીતે રજૂ કરવામાં આવી હોવાનો આરોપ મૂકાયો છે. 

 ફિલ્મના સાત નિર્માતાઓ સામે બિધાનનગર સાઉથ પોલીીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં આઝાદી આંદોલનના બંગાળના સેનાનીઓ ખુદીરામ બોઝ તથા બારીન્દ્રનાથ ઘોષનો ઉલ્લેખ ખોટી રીતે કરાયો હોવાનું એફઆઈઆરમાં જણાવાયું છે. ખુદીરામ બોઝને ખુદીરામ સિંઘ તથા બારીન્દ્રનાથ ઘોષને બિરેન્દ્ર કુમાર તરીકે દર્શાવાયા છે.

આ રીતે દેશની આઝાદીની લડતમાં બંગાળનાં પ્રદાનને લગતી હકીકતો સાથે ચેડાં કરાયાનો આરોપ મૂકાયો છે.  ફિલ્મમાં આ રીતે કેટલાય ક્રાંતિકારીઓનાં નામ બદલી નાખવામાં આવ્યાં છે.  કરણ જોહરની આ ફિલ્મ ‘ધી કેસ ધેટ શૂક ધી એમ્પાયર’ પુસ્તકના આધારે બનાવાઈ હતી. ફિલ્મ ગઈ તા. ૧૮મી એપ્રિલે રીલિઝ  કરાઈ હતી. અક્ષય કુમાર ઉપરાંત આર. માધવન તથા અનન્યા પાંડે  સહિતના કલાકારોએ તેમાં ભૂમિકા ભજવી હતી.