સંસ્કારી નગરી વડોદરા, વડોદરામાં પણ કોરોના વાયરસનું સંક્રમણ હદ વટાવી ચુકયું છે. રાજય સરકારે જાહેર કરેલાં મીની લોકડાઉનના કારણે વડોદરાનું મંગળ બજાર સજજડ બંધ રહયું હતું.
વડોદરામાં સુરસાગર તળાવ પાસે આવેલાં મંગળબજારને મધ્ય ગુજરાતનું સૌથી મોટું બજાર ગણવામાં આવે છે. મંગળબજારમાં રાજયભરમાંથી લોકો વિવિધ વસ્તુઓની ખરીદી કરવા આવતાં હોય છે. વડોદરા શહેરમાં વધી રહેલાં કોરોનાના કેસને ધ્યાનમાં રાખી સરકારે પાંચમી મે સુધી માત્ર જીવન જરૂરીયાતની વસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવા આદેશ કર્યો છે. સરકારના આદેશ બાદ બુધવારે મંગળબજાર સજજડ બંધ જોવા મળ્યું હતું.
વેપારીઓને સરકારના આદેશની વિસ્તૃત જાણકારી મળી રહે તે માટે વડોદરા પોલીસે પીસીઆર વાનના માધ્યમથી વિવિધ વિસ્તારોમાં એનાઉન્સમેન્ટ શરૂ કરાવ્યું છે. સમગ્ર દેશ સહિત ગુજરાતના માથે કોરોનાની આફત આવી પડી છે ત્યારે મંગળબજારના વેપારીઓએ પણ પોલીસ અને વહીવટીતંત્રને સહયોગ આપ્યો હતો. વડોદરાના તમામ બજારોમાં દુકાનો તારીખ પાંચમી મે સુધી બંધ રહેશે.