વડોદરા :ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે એક કર્મચારીને જાહેરમાં માર મારતા વિવાદ સર્જાયો
વડોદરા શહેરવાસીઓ પૂરની પરિસ્થિતિ સર્જાશે તેવી દહેશત અનુભવી રહ્યા છે,ત્યારે ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર દ્વારા નશાની હાલતમાં એક કર્મચારીને માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, ગુજરાત | વડોદરા | સમાચાર
વડોદરા શહેરવાસીઓ પૂરની પરિસ્થિતિ સર્જાશે તેવી દહેશત અનુભવી રહ્યા છે,ત્યારે ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર દ્વારા નશાની હાલતમાં એક કર્મચારીને માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે,ભોગ બનનાર ફાયર કર્મીએ આ અંગે ફરિયાદ કરતા ચકચાર મચી ગઈ છે.
વડોદરા શહેરમાં ભારે વરસાદને પગલે ગત રાત્રે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી સુધી આવી ગઈ હોવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં એનાઉન્સમેન્ટ કરવાનું હતું. તેથી મકરપુરા જીઆઇડીસી ફાયર બ્રિગેડના ફાયરમેન અમરસિંહ ઠાકોરને કંટ્રોલ રૂમમાં બોલાવવામાં આવ્યા હતા. આ સમયે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ હાજર હતા અને તેમણે કર્મચારીને કેમ મોડો આવ્યો તેમ કહી અપશબ્દો બોલીને કાચની બોટલ તેમજ મુક્કા વડે માર માર્યો હતો. ઇજાગ્રસ્ત કર્મચારીએ એવો આક્ષેપ કર્યો છે કે, મને અહીંથી મારતા જીઆઇડીસી લઈ ગયા હતા અને તેઓ નશામાં ધૂત હતા.ઇજાગ્રસ્ત અમરસિંહને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને ફરાર ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર સામે ગુનો દાખલ કરી પોલીસે કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરી છે.
જ્યારે આ અંગે કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાર્થ બ્રહ્મભટ્ટે કર્મચારીને માર માર્યો હોવાની પ્રાથમિક માહિતી જાણવા મળી છે,અને હાલમાં તે ક્યાં છે તે અંગેની કોઈ જાણકારી નથી.વધુમાં ઘટના અંગેની તપાસ કરીને આગળની કાર્યવાહી કરવા અંગે તેઓએ જણાવ્યું હતું.
