તા. 7મી જુલાઇ અષાઢી બીજના રોજ નીકળશે રથયાત્રા
ઇસ્કોન મંદિર દ્વારા જગન્નાથજીની 43મી રથયાત્રા યોજાશે
ભગવાન જગન્નાથની રથયાત્રાનું ધામધૂમપૂર્વક આયોજન
કલાનગરીના કલાકારો દ્વારા રથના શણગારને અંતિમ ઓપ
અષાઢી બીજે હરે ક્રિષ્ણા, હરે રામના નાદથી વાતાવરણ ગુંજશે
સંસ્કારી નગરી વડોદરા શહેરમાં ઇસ્કોન મંદિર દ્વારા આગામી તા. 7મી જુલાઇ અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રાનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભગવાનના રથને રંગરોગાન તેમજ શણગાર સહિતની કામગીરીનો દોર જારી છે.
આગામી તા. 7મી જુલાઇ અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ઠેર ઠેર આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારના ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભગવાનના રથને રંગરોગાન, એર બેક સિસ્ટમ, જંપર-પાટા, ગીસિંગ, ફેબ્રિકેશન, શણગાર સહિતની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. કલાનગરીના કલાકારો તથા ભાવિક ભક્તો રથને વિવિધ ભાતિગળ રંગોથી સજાવી રહ્યા છે.
ભગવાનના રથ માટે સંખેડાથી બાવળના લાકડા મંગાવવામાં આવ્યા હતા. કૃષ્ણ ભક્તે જણાવ્યું કે, હું છેલ્લા ઘણા વર્ષથી ઇસ્કોન મંદિરમાં સેવા આપું છું. અને આ વર્ષે અમે બધા ભક્તો દ્વારા આ રથને રંગરોગાન કરવામાં આવી રહ્યું છે. મારા માટે આ એક ખૂબ જ સૌભાગ્યની વાત છે કે, મને ભગવાન જગન્નાથજીના રથને શણગારવાની તક મળી છે. આ રથની ડિઝાઇન જગન્નાથપુરીના રથ જેવી જ રાખવામાં આવી છે, તથા આ સેવામાં ઘણા ભાવિક ભક્તો જોડાયા છે. જેને લઈને આ કામ ઝડપથી પૂર્ણ થયું છે. રથયાત્રાના રૂટ પર ભક્તોને 35 ટન શિરાનો પ્રસાદ વિતરણ કરાશે, તથા સંધ્યા સમયે ઇસ્કોન મંદિરે ભંડારો ભરાશે. આ સાથે જ અષાઢી બીજે રથયાત્રા દરમિયાન “હરે ક્રિષ્ણા, હરે રામ”નો નાદ ગુંજશે અને ભક્તો ભક્તિ સંગીતના તાલે ભગવાનની નગરચર્યામાં જોડાશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.