ભાજપ રૂપિયાના જોરે-ધાકધમકીથી અન્ય પક્ષના નેતાઓને પોતાના પક્ષમાં કરે છે સામેલ : AAP સાંસદ સંદીપ પાઠક
લોકસભાની ચૂંટણી ખૂબ જ નજીક છે, ત્યારે આવી સ્થિતિમાં ધીમે ધીમે તમામ પક્ષો પોતાના ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં વ્યસ્ત છે.
આમ આદમી પાર્ટીના સાંસદ સંદીપ પાઠક વડોદરા અને ભરૂચના મહેમાન બન્યા હતા, જ્યાં તેઓએ ગુજરાતમાં ભારત ગઠબંધનને મોટો ફટકો આપતા આમ આદમી પાર્ટીએ તેના 2 ઉમેદવારોના નામ ફાઈનલ કરી દીધા હોવાની વાત કરી હતી.
દેશમાં લોકસભાની ચૂંટણી ખૂબ જ નજીક છે, ત્યારે આવી સ્થિતિમાં ધીમે ધીમે તમામ પક્ષો પોતાના ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં વ્યસ્ત છે. ગુજરાતમાં ભારત ગઠબંધનને એક પ્રકારનો ફટકો આપતા આમ આદમી પાર્ટીએ તેના 2 ઉમેદવારોના નામ ફાઈનલ કરી દીધા છે, ત્યારે વડોદરા ખાતે પધારેલા આમ આદમી પાર્ટીના સાંસદ સંદીપ પાઠકે જણાવ્યુ હતું કે, અમે ગુજરાતના ભરૂચથી ચૈતર વસાવા અને ભાવનગરથી ઉમેશ મકવાણાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ગુજરાતમાં મહા ગઠબંધનમાં અમારી પાસે 8 બેઠકો છે. AAP સાંસદ સંદીપ પાઠકે ભાજપ પર નિશાન સાધતાં જણાવ્યુ હતું કે, ભાજપ રૂપિયાના જોરે, ધાકધમકીથી અન્ય પક્ષના નેતાઓને પોતાના પક્ષમાં સામેલ કરી રહી છે. ભાજપ 26માંથી 26 બેઠકો જીતવાની વાત કરે છે, જો ભાજપના નેતાઓને ખબર જ હોય કે, તમામ બેઠક ભાજપ જ જીતશે તો પછી ચૂંટણી બંધ કરાવી દેવી જોઇએ તેવો પણ વાક પ્રહાર તેઓએ કર્યો હતો. તો બીજી તરફ, સંદીપ પાઠકે ભરૂચની બેઠકને લઇ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. ભાઇ-ભતીજાને જીતાડવા અહિયાં કોઇ નથી આવ્યું, ભાજપ સરકારને હરાવવા આવ્યા હોવાનું જણાવ્યુ હતું. ઉપરાંત ખેડૂતોનું પ્રદર્શન દુર્ભાગ્યપૂર્ણ છે, ખેડૂતોની માંગણીઓ વ્યાજબી છે, મોદી સરકાર ખેડૂતોને વાયદા કરીને ફરી જતી હોવાનો પણ AAPના સાંસદ સંદીપ પાઠકે આક્ષેપ કર્યો હતો.