વડોદરા : તબીબના કાર્યક્રમમાં જ ફૂડ-પોઇઝનિંગ થતાં બાળકો સહિત 123 લોકો સારવાર હેઠળ...
વડોદરા જિલ્લાના પાદરાના ગોવિંદપુરા વિસ્તારમાં ધાર્મિક પ્રસંગેમાં પ્રસાદ ખાવાને કારણે બાળકો સહિત 123 જેટલા લોકોને ફૂડ-પોઈઝનિંગની અસર થતાં અફરાતફરી મચી ગઈ હતી.
વડોદરા જિલ્લાના પાદરાના ગોવિંદપુરા વિસ્તારમાં ધાર્મિક પ્રસંગેમાં પ્રસાદ ખાવાને કારણે બાળકો સહિત 123 જેટલા લોકોને ફૂડ-પોઈઝનિંગની અસર થતાં અફરાતફરી મચી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર, વડોદરાના પાદરા ખાતે હોમિયોપેથિક ડો. અબુબકર અલીકત સૈયદ દ્વારા ધાર્મિક નિયાઝનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. જોકે, ડોક્ટર દ્વારા આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં જ ફૂડ-પોઈઝનિંગનો બનાવ બન્યો હતો. એક પછી એક બાળકો સહિત મોટા લોકોને ફૂડ-પોઈઝનિંગની અસર થતાં દોડધામ મચી ગઈ હતી. પ્રસાદ ખાવાના કારણે તબિયત બગડતાં તમામ 123 જેટલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે પાદરાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જે લોકોની હાલત ખરાબ હતી, તેવા લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પાદરા સરકારી હોસ્પિટલમાં લોકોના ટોળેટોળાં ઊમટી પડ્યા હતા. બનાવના પગલે આરોગ્ય તંત્ર પણ દોડતું થયું હતું. વડોદરા જિલ્લા કલેક્ટર પણ પાદરા સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જોકે તમામની હાલત ખતરા બહાર હોવાથી તંત્રએ રાહત અનુભવી હતી.