-
કારેલીબાગ વિસ્તારમાં ભયંકર અકસ્માતનો મામલો
-
તા. 13 માર્ચે કાર ચાલકે 8 લોકોને લીધા હતા અડફેટે
-
એક મહિલાનું મોત, જ્યારે 7 લોકોને પહોચી હતી ઇજા
-
અકસ્માત બાદ આરોપીઓનો FSL રિપોર્ટ સામે આવ્યો
-
ત્રણેય આરોપીઓએ કર્યો હતો ગાંજાનો નશો : DCP
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ગત તા. 13 માર્ચે હોળીની રાત્રે અકસ્માત સર્જી 8 લોકોને અડફેટે લેનાર રક્ષિત ચૌરસિયાએ ગાંજાનું સેવન કર્યું હોવાનો FSLના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે ગત તા. 13 માર્ચ-2025 હોળીની રાત્રે નશામાં ચૂર કારચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા. જેમાં હેમાલી પટેલ નામની મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના પતિ પૂરવ પટેલને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનામાં બાળક-બાળકી સહિત કુલ 7 લોકોને ઈજા પહોચી હતી.
આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આરોપી કારચાલક રક્ષિત ચૌરસિયાની ધરપકડ કરી સાપરાધ મનુષ્યવધનો ગુન્હો દાખલ કર્યો હતો. સમગ્ર મામલે DCP પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, આરોપી રક્ષિત ચોરસીયા, પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડના બ્લડ સેમ્પલ મેળવી FSLમાં મોકલવામાં આવતા રિપોર્ટમાં સામે આવ્યું છે કે, ત્રણેય આરોપીના બ્લડ સેમ્પલમાં ગાંજાની હાજરી હતી.
જેથી કારેલીબાગ પોલીસ મથકમાં ત્રણેય આરોપી સામે NDPS એક્ટ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે જ પ્રાંશુ ચૌહાણની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉપરાત આરોપી સુરેશ ભરવાડને પકડવા માટે ટીમો બનાવીને તેની શોધખોળ કરવામાં આવી રહી છે. વધુમાં આરોપીઓ ગાંજો ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં પોલીસ તપાસ ચાલુ છે.