/connect-gujarat/media/post_banners/ab7536ea16641378c6d42005b8238e15597963957fe6fea7880b29718e543fc5.jpg)
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી ઐતિહાસિક સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંગેની માહિતી આપી હતી
અરબી સમુદ્ર જેમના પાદપ્રક્ષાલ કરે છે એવા ભગવાન સોમનાથની નિશ્રામાં આગામી દિવસોમાં યોજનારા ઐતિહાસિક સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ દેશની એકતા અને અખંડિતતા માટે મહત્વપૂર્ણ પૂરવાર થવાનો છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા ખાતે નાગરિકોને આ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાવા માટે આહ્વાન કર્યું છે. આ કાર્યક્રમને લઈને હર્ષ સંઘવીએ વડોદરામાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ખીલજી-ગઝનીના આક્રમણથી મુદરાઇ હિજરત કરી ગયેલા મૂળ સૌરાષ્ટ્રના લોકો ફરી વતનમાં આવશે, આ કાર્યક્રમ માટે રેલવે દ્વારા ખાસ 10 ટ્રેન દોડાવવામાં આવશે. સદીઓ પહેલા ગઝની અને ખીલજીએ સોરઠ ઉપર કરેલા આક્રમણને કારણે સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી અનેક લોકો સ્થળાંતર કરી, તમિલનાડુના મદુરાઈના આસપાસના વિસ્તારોમાં જઈને સ્થાયી થયા હતા. આ લોકો સ્થાયી થયા બાદ સૌરાષ્ટ્રીયન તમિલ તરીકે ઓળખાયા. સૌરાષ્ટ્રથી તમિલનાડુમાં થયેલું આ સ્થળાંતર દુનિયામાં થયેલા સૌથી મોટા સ્થળાંતરો પૈકીનું એક છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના માધ્યમથી આ લોકોનું સદીઓના અંતરાલ પછી સૌરાષ્ટ્ર સાથે અનોખું પુનઃમિલન થશે, જે એક ઐતિહાસિક ઘટના હશે.