/connect-gujarat/media/post_banners/a46565926350af7cefea0799c4d2f4b06830a2228aa6aeafc5c1810272742910.webp)
અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના હેઠળ દેશના ૫૦૮ રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ માટે રવિવારના રોજ એક સાથે ૫૦૮ રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ અંતર્ગત વડોદરા જિલ્લાના કરજણ રેલ્વે સ્ટેશન ખાતે ઇ-શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો.
વડોદરા જિલ્લાના કરજણ રેલ્વે સ્ટેશન ખાતે ઇ-શિલાન્યાસ કાર્યક્રમના પ્રારંભે અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ શાળાના છાત્રોએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરી હાજર જનોના હૈયા ડોલાવ્યા હતા. નગરની શાળાઓમાં યોજાયેલી પ્રતિયોગિતાઓમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર પ્રથમ દ્રિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર છાત્રોને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે પોતાના સંબોધનમાં ભારત સરકાર દ્વારા કરજણ રેલ્વે સ્ટેશનના પુનઃ વિકાસના કાર્યોની સરાહના કરી હતી. કરજણ ખાતે જુના બજારથી નવા બજારને જોડતા અંડર પાસ માટે તેઓએ રજૂઆત કરી હોવાનું પણ જણાવ્યું હતું. કરજણ રેલ્વે સ્ટેશન ખાતે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે એમ તેઓએ જણાવ્યું હતું. ત્યારબાદ દેશના પીએમ નરેન્દ્ર મોદીએ રિમોટ દબાવી ૫૦૮ રેલ્વે સ્ટેશનની શિલાન્યાસ વિધિ સંપન્ન કરી હતી. તેઓએ જણાવ્યું હતુ કે, ભારત સરકાર દ્વારા દેશના રેલ્વે સ્ટેશનોના આધુનિકરણ માટે સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સાથે સાથે રેલ્વે સ્ટેશનના પુનઃ વિકાસના કાર્યો માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. રેલ્વે સ્ટેશનો પર મુસાફરોને ઉમદા સુવિધા મળી રહે તે માટે પૂરતા પ્રયાસો કરીશું એમ તેઓએ જણાવ્યું હતુ. દેશના રેલ્વે સ્ટેશનો હવે વિદેશમાં આવેલા રેલ્વે સ્ટેશન જેવા આધુનિક બનશે એમ તેઓએ જણાવ્યું હતું. આયોજિત કાર્યક્રમમાં વડોદરા ડિવિઝન ડીઆરએમ, પ્રાંત ઓફિસર, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય અને વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ, તાલુકા ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો સહીત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.