વડોદરા : મનપા દ્વારા તહેવારો પૂર્વે ખાદ્ય પદાર્થોનું ચેકિંગ હાથ ધરાયું, મિલાવટ કર્તાઓમાં ફફડાટ...
આરોગ્ય વિભાગની ખોરાક શાખા દ્વારા શહેરના ચાર ઝોનમાં વિવિધ ટુકડીઓ બનાવી મીઠાઈ, માવા અને ફરસાણ સહિતના ખાદ્ય પદાર્થોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ખોરાક શાખા દ્વારા શહેરના ચાર ઝોનમાં વિવિધ ટુકડીઓ બનાવી મીઠાઈ, માવા અને ફરસાણ સહિતના ખાદ્ય પદાર્થોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
હાલ દિવાળીનો તહેવાર માથે છે, ત્યારે વડોદરા શહેરભરમાં ફરસાણ અને મીઠાઈના વેપારીઓ દ્વારા તૈયાર કરવામાં આવતી વાનગીઓની ગુણવત્તા તપાસવા માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરમાં ચાર ઝોન બનાવીને આરોગ્ય વિભાગની 4 ટીમ વિવિધ ખાદ્ય પદાર્થોના સેમ્પલ એકત્રિત કરીને ફૂડ લેબોરેટરીમાં પૃથક્કરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. શહેરના કાલુપુરામાં ઘીના વેપારીને ત્યાં આરોગ્ય શાખાની ખોરાક વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ઘીના નમૂના એકત્રિત કરવામાં આવ્યા હતા. સતત 2 દિવસથી સફાળી જાગેલી આરોગ્ય તંત્રની ટીમ દ્વારા ઠેર ઠેર સેમ્પલ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જોકે, મહત્વની વાત તો એ છે કે, પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા સેમ્પલનો રિપોર્ટ 15 દિવસ બાદ આવશે. ત્યાં સુધી વડોદરા શહેરના નાગરિકો ખાદ્ય કે, અખાદ્ય વાનગીઓ આરોગી ચૂક્યા હશે.