વડોદરા : માનસિક રોગીએ ભાગવાનો કર્યો પ્રયાસ, સીકયુરીટીના જવાનોએ ઢોર માર માર્યો
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી મેન્ટલ હોસ્પિટલનો માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે.
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી મેન્ટલ હોસ્પિટલનો માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. હોસ્પિટલમાંથી ભાગવાનો પ્રયાસ કરનાર દર્દીને સીકયુરીટીના જવાનોએ ઢોર માર માર્યો હતો.
આ દ્રશ્યો કોઇ પોલીસ સ્ટેશનના નથી કે જેમાં આરોપીને માર મારવામાં આવતો હોય...પણ આ વિચલિત કરનારા દ્રશ્યો છે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી મેન્ટલ હોસ્પિટલના.. જે લોકો મારી રહયાં છે તે હોસ્પિટલના સીકયુરીટીના જવાનો અને સ્ટાફના માણસો છે. અને તે લોકો જેને મારી રહયાં છે તે માનસિક રોગનો દર્દી છે. આ દર્દીનો વાંક એટલો છે કે તેણે હોસ્પિટલમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે માનસિક રોગના દર્દીએ સીકયુરીટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. હોસ્પિટલમાં જડબેસલાક સીકયુરીટી હોવા છતાં દર્દી ભાગીને હોસ્પિટલની બહાર સુધી આવી ગયો હતો. સીકયુરીટી ગાર્ડે ભલે તેમની ફરજ નિભાવી હોય પણ દર્દીને ઢોર માર મારવો કેટલા અંશે યોગ્ય છે ? હાલ તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.